Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થશે તેનો ડોક્ટરોને આવી ગયો હતો તેનો અંદાજ

૩૦ જૂને સુરત અમદાવાદથી આગળ નીકળ્યું હતું : શહેરમાં પ્રેક્ટિસ કરતા રેડિયોલોજિસ્ટોને લગભગ એક સપ્તાહ પૂર્વે અંદાજ આવી ગયો હતો કે સુરતમાં સ્થિતિ ગંભીર બનવાને હવે વધારે સમય નથી

અમદાવાદ, તા. ૧૮ : ૩૦ જુને પહેલીવાર સુરતમાં અમદાવાદ કરતા પણ વધારે કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જોકે, શહેરમાં પ્રેક્ટિસ કરતા રેડિયોલોજિસ્ટોને લગભગ એક સપ્તાહ પહેલા અંદાજ આવી ગયો હતો કે સુરતમાં સ્થિતિ ગંભીર બનવાને હવે વધારે સમય નથી. શહેરમાં એક્સ-રે તેમજ હાઈ રિઝોલ્યૂશન સિટી સ્કેન કરાવનારાઓની સંખ્યામાં અચાનક મોટો ઉછાળો થયો હતો, અને દર્દીઓમાં વાયરલ ન્યૂમોનિયાનો પોઝિટિવિટી રેટ વધી ગયો હતો.

જૂન પહેલા જેટલા પણ લોકો એક્સ-રે કે સિટી સ્કેન કરાવવા આવતા હતા તેમાંથી ૭૦-૯૦ ટકા લોકોને ઈન્ફેક્શન થયું હોવાનું રિપોર્ટમાં સામે આવતું હતું. સુરતમાં ઈમેજિંગ સેન્ટર ચલાવતા ડૉ. અનિલ પટેલના જણાવ્યા અનુસાર તેઓ રોજના ૩૦ જેટલા HRCT સ્કેન કરે છે, અને તેમાંથી ૭૦ ટકા જેટલા દર્દીઓને વાયરલ ન્યૂમોનિયા નીકળે છે.

ડૉ. ઘનશ્યામ આડેસરાના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી એક્સ-રે, સિટી સ્કેન કરાવવા આવતા દર્દીઓની સંખ્યા ઘટી છે. ખાસ કરીને કોરોના છે કે નહીં તે જાણવા કરાતા RT-PCR ટેસ્ટ પર મૂકાયેલા નિયંત્રણો હટતા હવે કોરોનાની શંકા હોય તેવા દર્દીઓનો કોરોના ટેસ્ટ કરાવાય છે. અગાઉ ટેસ્ટ કરાવવા સરળ ના હોવાથી ડોક્ટર્સ દર્દીઓને હાઈ રિઝોલ્યૂશન સિટી સ્કેન કરાવવાનું કહેતા હતા.

ડૉ. આડેસરાના જણાવ્યા અનુસાર, તેમની બંને લેબમાં ૮૦ જેટલા લોકો રોજ આવતા હતા, જેમાંથી વરાછામાં પોઝિટિવિટી રેટ ૯૦ ટકા જેટલો ઉંચો હતો, જ્યારે અન્ય વિસ્તારમાં ૭૦ ટકા જેટલો હતો. ઉલ્લેખનીય છે કે ૧૫ જુલાઈએ સરકારે MBBS ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર કોરોનાનો ટેસ્ટ થઈ શકશે તેવી જાહેરાત કરી હતી. તે પહેલા સુરતમાં કોરોનાના ટેસ્ટ સરળતાથી નહોતા થતા.

સુરતના ડોક્ટર્સનું માનીએ તો ૨૪-૨૫ જુનની આસપાસ એક્સ-રે કરાવવા આવતા દર્દીઓની સંખ્યા અચાનક વધવા લાગી હતી. તેના થોડા સમયમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધવા લાગ્યા હતા, અને જોતજોતામાં સુરત કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ બની ગયું હતું. સ્થાનિક તંત્રને ગંભીરતાનો ખ્યાલ આવી જતાં સિટી સ્કેન, એક્સ-રે કરાવવા આવનારા દર્દીઓમાં જેમને કોરોના થયાની શંકા હોય તેમની વિગતો ડોક્ટર્સ પાસેથી એકત્ર કરવાનું શરૂ કરી દીધું હતું.

સુરત રેડિયોલોજી એન્ડ ઈમેજિંગ અસોસિએશનના પ્રમુખ ડૉ. નવીન પટેલના જણાવ્યા અનુસાર, હજુ હમણા સુધી કોરોનાના ટેસ્ટ પર નિયંત્રણ હતા. જેથી લોકો સિટીસ્કેન કરાવવા આવતા હતા. સરકારે અમદાવાદમાં નિયંત્રણો હળવા બનાવ્યા હતા, પરંતુ સુરતમાં નહીં. સિટી સ્કેનમાં ૧૫ મિનિટમાં દર્દીની સ્થિતિનું ચોકસાઈપૂર્વક નિદાન થઈ જાય છે.

સુરતના મ્યુ. કમિશનર બંચ્છાનિધી પાનીના જણાવ્યા અનુસાર, હાલ શહેરમાં પાંચ પ્રાઈવેટ લેબ્સ અને સાત લોકલ સેન્ટર્સ પરથી સેમ્પલ લેવાય છે. નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં પણ કોરોનાના ટેસ્ટ થશે. સિટી સ્કેનથી દર્દીના ફેફસાને કોરોનાથી કેટલું નુકસાન થયું છે તે જાણી શકાય છે, જેથી તેનું પોતાનું પણ મહત્વ છે.

(10:02 pm IST)