Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ અેન્‍કાઉન્‍ટર કેસમાં વધુ બે સાક્ષીઓ કોર્ટ સમક્ષ ફરી ગયાઃ અત્‍યાર સુધીમાં કુલ ૬૧ સાક્ષીઓઅે નિવેદન ફેરવી તોળ્યુ

મુંબઇઃ સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ નકલી અેન્‍કાઉન્‍ટર કેસમાં વધુ બે સાક્ષીઓઅે કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન ફેરવી નાખતા ભારે ચર્ચા જાગી છે.

ગુરુવારે બે સાક્ષીને મુંબઈ ખાતે સ્પેશિયલ CBI કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. બંને પોતાના નિવેદનો પરથી ફરી ગયા અને સીબીઆઈ દ્વારા ખોટું નિવેદન આપવા માટે દબાણ કરવામા આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. અત્યાર સુધીમાં આ કેસમાં 61 સાક્ષીઓ ફરી ગયા છે.

ઉદયપુર પોલીસમાં પૂર્વ સબ ઈન્સપેક્ટર હઝારી લાલ મિનાને સીબીઆઈ જજ એસ.જે. શર્મા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. એજન્સી મુજબ મિનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “24 ડિસેમ્બર 2006ની સાંજે સુપ્રિટેન્ડન્ટ ઑફિસર દિનેશ (કેસના પૂર્વ આરોપી)એ કેદી પ્રજાપતિ અને આઝમ ખાન માટે પોલીસની ટૂકળી ન આપવા કહ્યું હતું. બીજા દિવસે આ બંને કેદીઓને ઉદયપુરની જેલથી અમદાવાદ કોર્ટમાં લઈ જવાના હતા.”

મીના પણ પોલીસની એ ટીમનો ભાગ હતા જેઓ કેદીઓને કોર્ટ સુધી લઈ જવાના હતા. મીનાએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે પ્રજાપતિ ભાગવાની કોશિશ કરી શકે તે અંગે પોલીસે જાણ કરી હતી, ત્યારે દિનેશે તેમને કહ્યું હતું કે સ્પેશિયલ ટીમ દ્વારા કેદીઓને લઈ જવામાં આવશે.

જો કે ગુરુવારે કોર્ટ સમક્ષ મીનાએ આવા કોઈપણ ઓર્ડર મેળવ્યા હોવાનો ઇનકાર કરી દીધો છે. કહ્યું કે કેદીઓને સ્પેશિયલ ટીમ દ્વારા કોર્ટ લઈ જવામાં આવનાર હતા કે અન્ય કોઈ દ્વારા તે અંગે કંઈ જ ખ્યાલ નથી. પોલીસ મુજબ અમદાવાદ લાવતી વખતે પ્રજાપતિ ભાગી ગયો હતો અને 28 ડિસેમ્બર 2006ના રોજ તેનું એન્કાઉન્ટર કરવામા આવ્યું હતું. સીબીઆઈ મુજબ શોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટરનો સાક્ષી હોવાથી તુલસી પ્રજાપતિનું ફેક એન્કાઉન્ટર કરવામા આવ્યું હતું. મીનાએ આરોપ લગાવ્યો કે આ સ્ટેટમેન્ટ નોંધાવવા માટે સીબીઆઈએ તેમના પર દબાણ કર્યું હતું.

(6:27 pm IST)