Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

શહીદ જવાનોનાં પરિવારને વીમા રકમ ઝડપથી અપાશ

જવાનોને ઓછી હેરાનગતિને લઈ જાહેરાત થઈ : સીઆરપીએફ જવાનો ડિફેન્સ સેલેરી પેકેજ હેઠળ બેંંકના ગ્રાહકો છે : બેંક દરેક જવાનને ૩૦ લાખનું વીમા કવચ

અમદાવાદ, તા.૧૮ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જમ્મુ અને કાશ્મીરમાં પુલવામામાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફનાં જવાનો માટે વિશેષ પહેલની જાહેરાત કરી હતી. સીઆરપીએફનાં તમામ જવાનો ડિફેન્સ સેલેરી પેકેજ હેઠળ બેંકનાં ગ્રાહકો છે, જેમાં બેંક દરેક જવાનોને રૂ. ૩૦ લાખનું વીમાકવચ પ્રદાન કરે છે. બેંકે શહીદ થયેલા જવાનોનાં પરિવારજનોને વીમાની રકમ ઝડપથી આપવા પગલાં લીધા છે. એસબીઆઈ પાસેથી ૨૩ જવાનોએ લોન પણ લીધી હતી અને તાત્કાલિક અસર સાથે બાકી નીકળતી તમામ લોનને માફ કરવાનો નિર્ણય લીધો છે. એસબીઆઇના કર્મચારીઓએ અગાઉ કોઈ પણ પ્રકારનાં રાષ્ટ્રીય હિતને ટેકો આપવા હંમેશા ઉદારતા પ્રદર્શિત કરી છે.

પુલવામા હુમલા પછી પણ બેંકે એનાં તમામ કર્મચારીઓને ગૃહ મંત્રાલય, ભારત સરકારની પોર્ટલ – ભારત કે વીર (ભારતવીર.ગવ.ઇન) મારફતે સ્વૈચ્છિક રીતે પ્રદાન કરવા અપીલ કરી છે. એસબીઆઇએ આ માટે ૩ વિકલ્પો નાગરિકોને આપ્યાં છે; બેંકોનાં ઇન્ટરનેટ બેંકિંગ ગ્રાહકો ઓનલાઇનએસબીઆઇ.કોમ પેમેન્ટ/ટ્રાન્સફરની અંદર કટિબદ્ધ પેટાવિકલ્પ મારફતે નાણાનું દાન કરી શકે છે. બેંકે યુપીઆઈ હેન્ડલ ભારતવીરએટએસબીઆઇપણ ઊભું કર્યું છે, જે લોકોને સ્વૈચ્છિક રીતે નાણાકીય સહાય કરવામાં મદદ કરવા માટેની પહેલ છે. વ્યક્તિઓ ભીમ યુપીઆઇ એપ્લિકેશન પર કયુઆર કોડ સ્કેન કરીને પણ દાન કરી શકે છે. એસબીઆઇનાં ચેરમેન રજનીશ કુમારે કહ્યું હતું કે, આપણાં દેશની સલામતી માટે હંમેશા ખડેપગે ઊભા રહેતાં સૈનિકોની શહીદી જોવા અત્યંત દુઃખદાયક બાબત છે. શોકની આ ક્ષણે અમે આ બહાદુર જવાનોનાં પરિવારજનો સાથે છીએ. તેમણે ઉમેર્યું હતું કે, બેંકની આ પહેલ હંમેશા માટે પોતાનો સપૂત ગુમાવનાર પરિવારોની કાળજી રાખવા માટેની અમારી આ નાની પહેલ છે.

 

(10:14 pm IST)