Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ઉમરેઠની ઓડ ચોકડી નજીક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 45 હજારની મતાની તસ્કરી કરી

ઉમરેઠ: શહેરની ઓડ ચોકડી પાસે આવેલી શીવમ રેસીડન્સીમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવીને નકુચો તોડી અંદરથી સોનાના દાગીના-લેપટોપ વગેરે મળીને કુલ ૪૫ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ઉમરેઠ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર શીવમ રેસીડન્સીના મકાન નંબર ૪૦માં રહેતા અર્પીતાબેન અલ્કેશભાઈ પટેલના પિતા અલ્કેશભાઈને આફ્રીકા જવાનું હોય ગઈકાલે રાત્રીના સાડા બારેક વાગ્યાના સુમારે મકાનને લોક મારીને પરિવારજનો અમદાવાદ એરપોર્ટ પર ગયા હતા. વહેલી સવારના છ વાગ્યાના સુમારે ઘરે પરત ફરતા જ મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને ઘરની તીજોરીઓનો સામાન પણ વેરવિખેર પડેલો હતો. જેથી તપાસ કરતાં તસ્કરોએ ૧૨.૩૦ વાગ્યા બાદ ત્રાટકીને મુખ્ય દરવાજાનો નકુચો તોડી નાંખીને અંદર પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલી તીજોરી ખોલી અંદરનો બધો સામાન વેરવિખેર કરી નાંખીને સોનાનું દોઢ તોલાનું મંગલસુત્ર, સોનાની બે જોડ બુટ્ટીઓ તેમજ લેપટોપ વગેરે મળીને કુલ ૪૫ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

 

(6:02 pm IST)