Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગૃહમાં કોંગીનો હોબાળોઃ રાજ્યપાલે પ્રવચન ટુંકાવ્યુઃ કાલે બજેટ

કાશ્મીરના ત્રાસવાદી હુમલા સહિતના મુદ્દે શાસક-વિપક્ષના સામસામા સૂત્રોચ્ચારઃ શ્રધ્ધાંજલી બાદ ગૃહ મોકુફ : સરકાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને લેખાનુદાનમાં મોટી રાહત-લાભદાયી યોજના જાહેર કરે તેવો અણસાર : પુલવામા શહીદ જવાનો, રાજકોટના મનોહરસિંહજી જાડેજા, કચ્છના જયંતીભાઈ ભાનુશાળી વગેરેને અંજલી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૮ :. રાજ્ય વિધાનસભા સત્ર આજથી ૫ દિવસ માટે શરૂ થયું છે. સવારે ગૃહના પ્રારંભે રાજ્યપાલના પ્રવચન વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ કાશ્મીરના હુમલા બાબતે તેમજ ખેડૂતોના પ્રશ્ને સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યકત કરતા સૂત્રોચ્ચાર કરેલ. તેની સામે શાસક ભાજપને સભ્યોએ ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર કરેલ. સામસામા નારા લગાવવાથી ગૃહમાં હોબાળો થઈ ગયેલ તેથી રાજ્યપાલ પોતાનું પ્રવચન ટુંકાવી ગૃહમાંથી જતા રહ્યા હતા. ત્યાર બાદ કાશ્મીરના શહિદ જવાનો અને ગૃહના મૃતક સભ્યોને અંજલી અર્પી ગૃહ મોકુફ રહ્યુ હતું. આવતીકાલે નાણાખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ ૪ મહિનાનું વચગાળાનું બજેટ (લેખાનુદાન) કરશે.

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સરકારે પૂર્ણ બજેટને બદલે વોટ ઓન એકાઉન્ટ તરીકે ઓળખાતુ વચગાળાનું ૪ માસનું બજેટ રજુ કરવાનું નક્કી કર્યુ છે. આજે રાજ્યપાલના પ્રવચન સાથે સત્ર પ્રારંભ થયા બાદ આવતીકાલે બજેટ રજુ કરશે. ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટમાં ખેડૂતો અને સામાન્ય માણસને સ્પર્શતી અમુક જાહેરાતો કરવામાં આવે તેવી સંભાવના છે. સત્રને અનુલક્ષીને વિપક્ષ કોંગ્રેસે સરકારને આક્રમક રીતે ભીડવવા માંગે છે. તે આજે સત્રના પ્રારંભે જ દેખાય આવ્યું છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ વગેરેના પ્રશ્ને અગ્રસ્થાને રહેશે.

આ વખતના સત્રમાં અમુક મહત્વના ખરડા રજુ થનાર છે. જેમાં ૨૪ કલાક હોટલ-દુકાનો ખુલ્લી રાખવા માટેનો ખરડો, હાઉસીંગ બોર્ડના બહુ જૂના મકાનો તોડીને તેના સ્થાને નવા ફલેટ બનાવવાનો ખરડો તેમજ મહાનગરોમાં ડે. કમિશનર કક્ષાના અધિકારીઓની જે તે મહાનગરને જ ભરતી કરવાની છુટ આપવાના ખરડાનો સમાવેશ થાય છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ માત્ર ૫ દિવસનું સત્ર બોલાવવા બાબતે સરકારની ટીકા કરેલ. તેના જવાબમાં સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે ચૂંટણીના વર્ષમાં ટૂંકુ સત્ર બોલાવવાની પરંપરા છે. અમે નવી કોઈ પ્રણાલિકા શરૂ કરી નથી. રાજ્યપાલના પ્રવચન વખતે કોંગ્રેસે વિવેક રાખવો જોઈતો હતો.

આજે ગૃહમાં પુલવાના શહિદો ઉપરાંત દિવંગત માજી સભ્યો રાજકોટના મનોહરસિંહજી જાડેજા, કચ્છના ભાનુશાળી વગેરેને શ્રધ્ધાંજલી આપી ગૃહની કાર્યવાહી મોકુફ રાખવામાં આવી હતી. સંસદની ચૂંટણી પૂર્વેનું છેલ્લુ બજેટ સત્ર હોવાથી વિપક્ષે સરકાર પર તડાપીટ બોલાવવાની તૈયારી કરી છે. બીજી બાજુ સામના માટે શાસક ભાજપ સજ્જ છે. આવતીકાલના વચગાળાના બજેટ પર મીટ છે.

(3:32 pm IST)