Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

રથયાત્રા ઈતિહાસમાં પ્રથમ વાર સાત કલાકમાં પૂર્ણ થશે

કોરોનાના લીધે રથયાત્રાને મર્યાદિત કરવાનો નિર્ણય : રથો પણ ૧૫ કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધશે, માત્ર ૨૫-૩૫ વર્ષનાં યુવાન ખલાસીઓને જ રથ ખેંચશે

અમદાવાદ, તા. ૧૭ : ગુજરાતમાં ચાલી રહેલા કોરોના કહેર વચ્ચે આ વર્ષે શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા આ વખતે બિલકુલ સાદગીપૂર્ણ અને એ પણ માત્ર ૬થી ૭ કલાકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પૂર્ણ થશે. આ વર્ષની રથયાત્રા મામલે અંતિમ નિર્ણય તમામ વિગતો સાથે બુધવારનાં રોજ રાજ્યનાં મંત્રીમંડળ બેઠકમાં ચર્ચાનાં અંતે જાહેર કરાશે. આ માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા ૧૨-૧૩ કલાકને બદલે માત્ર ૬થી ૭ કલાકમાં જ પૂર્ણ કરી લેવાની યોજના બનાવવામાં આવી છે. ખલાસી એસો.નાં જણાવ્યાં અનુસાર રથયાત્રા બપોરનાં બે વાગ્યા સુધીમાં નિજ મંદિરે પરત ફરશે. રથયાત્રામાં રથ પણ ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધારવામાં આવશે. માત્ર ૨૫થી ૩૫ વર્ષનાં યુવાન ખલાસીઓને જ રથ ખેંચવા દેવામાં આવશે.

             ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રામાં લોકોનાં ટોળાં ભેગાં ન થાય તે માટે જનતા કરફ્યુ રાખવામાં આવે તેવી પૂરેપરી શક્યતા છે. રથયાત્રામાં માત્ર મંદિરનાં મહંત, ટ્રસ્ટીઓ અને રથ ખેંચનારા ખલાસીઓ સહિત ૨૦૦ લોકો જ જોડાશે. તદુપરાંત આ રથયાત્રામાં ભાગ લેનારા તમામનાં નામ સહિતની માહિતી પોલીસને એડવાન્સમાં આપી દેવાશે. આ રથયાત્રામાં રથ ખેંચનારા ખલાસી બંધુઓનું ૨૨મી તારીખે સ્વાસ્થ્ય ચેકિંગ ટેસ્ટ કરવામાં આવશે. રથયાત્રામાં એક રથનું વજન આશરે ૨૨૦૦ કિલો જેટલું હોય છે. આ રથને ફરતે ૧૦૦ ફૂટ લાંબી દોરી બાંધી દેવામાં આવશે તેમજ રથયાત્રા માટે ૧૦૦ ફૂટનો લાંબો દોરડો કાલુપુરનાં એક વેપારી દ્વારા બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જગન્નાથ મંદિરનાં ટ્રસ્ટીઓએ રથયાત્રાનાં આયોજનનાં ભાગરૂપે પહેલા માર્ગદર્શન મેળવવા ગૃહવિભાગ સાથે બેઠક પણ યોજી હતી. તમને જણાવી દઈએ કે, દર વર્ષે ૨૨ કિલોમીટર લાંબી રથયાત્રાની સ્પીડ આશરે ૭ કિમી પ્રતિ કલાકની હોય છે. પરંતુ આ વર્ષે ઓછી વ્યક્તિઓને કારણે તેમજ રથ નિજ મંદિરે પરત વહેલા લાવવાને લીધે રથની ઝડપ ૧૦થી ૧૫ કિમી પ્રતિ કલાકની રાખવામાં આવશે. જેને લીધે રથ જો આ જ ઝડપે ચાલે તો સવારનાં ૭.૦૦ વાગ્યે રથ પ્રસ્થાન કર્યા બાદ આશરે ૨.૦૦ વાગ્યા સુધીમાં રથ નિજ મંદિરે પરત આવી શકે છે.

(9:43 pm IST)