Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કોરોનાને ભગાડવા અંધશ્રદ્ધાનો સહારોઃ સુરતમાં દરરોજ વેપારીઓ દ્વારા તાપી નદીમાં 500 કિલો બરફનો ઘા કરાય છેઃ અત્‍યાર સુધીમાં 3500 કિલો બરફ ફેંકાયો

સુરત: સુરતમાં કોરોના વાયરસ જેવી મહામારીને ભગાડવા માટે તાપી નદીમાં વેપારીઓ દ્વારા દરરોજ 500 કિલો બરફ ફેંકવામાં આવી રહ્યું છે. જો કે અત્યાર સુધીમાં 3500 કિલોથી પણ વધારે બરફ નદીમાં પધરાવવામાં આવ્યું છે તેવી માહિતી મળી રહી છે.

કોરોના સામે લડવા માટે લોકો વિવિધ પ્રકારના નુકસા અપનાવતા હોય છે. ત્યારે વધુ એક નુકસો સામે આવ્યો છે તેમાં સુરત શહેરમાં વેપારીઓ દ્વારા દરરોજ તાપી નદીમાં 500 કિલો બરફ નાખવામાં આવી રહ્યું છે. વેપારીઓનું કહેવું છે કે આવું કરવાથી કોરોના દેશમાંથી જતો રહેશે.

જણાવી દઈએ કે, કોરોનાની વેક્સિન માટે વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો રાત-દિવસ પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે આવા કેટલાય લોકો છે જે કોરોનાને ભગાડવા માટે અંધવિશ્વાસનો સહારો લઈ રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.

કોરોનાને ભગાડવા અંધશ્રધ્ધાનો સહારો

મીડિયા રિપોર્ટ મુજબ સુરતના વેપારીએ તાપી નદીને ઠંડી કરીને કોરોનાને અટકાવવા માટે રોજ 500 કિલો બરફ નદીમાં ફેંકે છે. રિપોર્ટ મુજબ વેપારીને પુછતા તેણે કોરોના ભગાડવા માટે માનતા રાખી હોવાનું જાણવા મળ્યું છે. વેપારી વિવેકાનંદ બ્રિજ પરથી અત્યાર સુધી 3500 કિલો બરફ નદીમાં ફેંકી ચૂક્યો છે.

સુરતમાં કોરોનાની સ્થિતિ

સોમવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 64 કેસ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા 2643 પર પહોંચી ગઈ છે. તેમજ વધુ ચાર દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 110 પર પહોંચી ગયો છે. ગત રોજ 58 દર્દી કોરોનાને મ્હાત આપી રિકવર થતા રજી આપવામાં આવી હતી. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 1884 પર પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ સુરતમાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં રત્નકલાકારો, ડૉક્ટર્સ અને હેલ્થવર્કર્સ પણ સામેલ છે. કતારગામમાં ઝોનમાં આવતા હીરાના કારખાનામાં કામ કરતા 13 રત્નકલાકારો તેમજ 1 હીરા વેપારીને પણ કોરોનાનું સંક્રમણ થતા તમામનો ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો છે.

(5:21 pm IST)