News of Wednesday, 17th June 2020
અમદાવાદ: ત્રણ મહિના સુધી ચાલેલા રાજ્યસભા ચૂંટણીના રસાકસીભર્યાં રાજકારણનો 19 જૂનના રોજ અંત આવશે. શુક્રવાર 19 જૂનના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે બે દિવસ પહેલા જ બંને પક્ષો સક્રિય થઈ ગયા છે. બંને પક્ષોએ પોતાપોતાની રણનીતિ નક્કી કરવાનુ શરૂ કર્યું છે. તો બીજી તરફ ગાંધીનગર અને અમદાવાદમાં મોટાપાયે હલચલ જોવા મળી રહી છે.
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને આજે અમદાવાદની ઉમેદ હોટલ ખાતે એકઠા કરવામાં આવ્યા છે. પોતાના વિસ્તારમાં ગયેલા કોંગ્રેસના ધારાસભ્યોને પ્રદેશ પ્રમુખે ફોન કરી તાત્કાલિક બોલાવ્યા છે. હાલ જ્યારે બંને પક્ષો માટે એક-એક વોટ કિંમતી છે, ત્યારે તમામ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. બે પ્રેફરન્સ વોટ કેવી રીતે મેળવવા તે અંગે માહિતગાર કરાશે. તો બીજી તરફ, આજે ગુજરાત પ્રદેશના પ્રભારી રાજીવ સાતવ પણ ગુજરાત આવી પહોંચશે. તેમની સાથે હરિપ્રસાદ અને રજનીતાઈ પણ સાંજ સુધીમાં હોટલમાં આવી પહોંચશે.
તો બીજી તરફ, કૉંગ્રેસની જેમ ભાજપે પણ પોતાના ધારાસભ્યોને આજ રાત સુધી ગાંધીનગર પહોંચી જવાના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સભાની રસાકસીભરી ચૂંટણી નજીક આવી ગઈ છે,ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોને આજે રાત સુધી ગાંધીનગર MLA કવાર્ટરમાં પહોંચી જવા આદેશ કરવામાં આવ્યો છે, અને દરેક ધારાસભ્યોએ વિધાનસભાના દંડક પંકજ દેસાઈને આ અંગેની કરવાના ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 2 ધારાસભ્યો ચૂંટણીપંચ પહોંચ્યા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું હોવાની રજૂઆત કરવા સી. જે ચાવડા અને બળદેવજી ઠાકોર મુખ્યચૂંટણી અધિકારીને મળવા સચિવાલય પહોંચ્યા હતા. ચૂંટણીની તૈયારીઓ અંગે માહિતી લેવા આવ્યા હોવાનું જણાવીને ધારાસભ્ય સી જે ચવાડાએ મીડિયાને જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે ભાજપ સત્તાનો દુરુપયોગ કરે છે અને કોંગ્રેસના ધારાસભ્યોને યેનકેન પ્રકારે હેરાન કરતા હોય છે. આ વખતે પુજાભાઈ વંશને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. કોરોના અને ભાજપનો ભરોસો ન કરાય. મતદાનના દિવસે ભાજપ કંઈ અજુગતું કરે તો નવાઈ નહિ તેવી દહેશત પણ તેઓએ વ્યક્ત કરી.