Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અષાઢી બીજના દિવસે સુરતમાં નીકળનારી ભગવાન જગન્‍નાથજીની રથયાત્રા માટે ભગવાનના વાઘા વૃંદાવનથી મુસ્‍લિમ અને હિન્‍દુ કારીગરીઓએ તૈયાર કર્યા

સુરત: સુરતમાં અષાઢી બિજના દિવસે જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્ચા માટે નીકળશે ત્યારે કોમી એકતાનું પ્રતિક જોવા મળશે. કારણ કે આ વખતે ભગવાન જગન્નાથના વાઘા વૃંદાવનથી મુસ્લિમ અને હિન્દુ કારીગરો દ્વારા તૈયાર કરાવવામા આવ્યા છે. આ વાઘાની કિંમત રૂપિયા 2 થી 3  લાખ ગણવામા આવી રહી છે.

ઓરિસ્સાના પુરી ખાતે ભગવાન જગન્નાથના મંદિરમાં પરંપરાગત રીતે રથાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ પોતાની બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરયાત્રા માટે નીકળે છે. અને ભગવાનને આવકારવા નગરજનો તેમનું ફુલોથી સ્વાગત કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે. સુરતમાં પણ પાંચ જગ્યાએથી ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે. જેમાં જહાંગીરપુરા ઇસ્કોન મંદિર, પાંડેસરા, સચીન, મહિધરપુરા તથા અમરોલી ખાતે એમ પાંચ જગ્યાએથી ભગવાન જગન્નાથની નગરયાત્રા નીકળે છે.

જહાગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર ખાતેથી છેલ્લા 23 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જોકે આ વર્ષે આ જગન્નાથયાત્રામા કોમી એકતાની પ્રતિમા ખુદ ભગવાન જગન્નાથમા જ જોવા મળશે. કારણ કે, મંદિર દ્વારા ભગવાનના વાઘાનો ઓર્ડર સ્પેશિયલી વૃંદાવનમાં આપવામા આવ્યો છે. વૃંદાવનના મુસ્લિમ અને હિન્દુ કારીગરો દ્વારા આ વાઘામાં ઝીણવટભર્યુ હેન્ડવર્ક કરવામાં આવ્યું છે. આ વાઘા તૈયાર કરવામા કારીગરોને છ મહિના જેટલો સમય લાગ્યો હતો. સાથોસાથ તેની કિંમત રૂપિયા 2 થી 3 લાખ છે. આ સાથે ભગવાન જગન્નાથનો રથ પણ તૈયાર કરી દેવામા આવ્યો છે. આ રથને કલર કામ અને ટચ આપી તૈયારીને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.

આ વર્ષે કોરોના વાયરસના કારણે ભગવાન જગગન્નાતની રથયાત્રા સાદગી પૂર્ણ રીતે કાઢવામાં આવશે. ભગવાનનો રથ ખેંચવા 30 થી 35 હરિભક્તો હાજર રહેશે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવામાં આવશે.

(5:12 pm IST)