Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સૅનેટાઈઝર પી જતા યુવકનું મોત : ચિરાગે માનસિક રોગની દવાની બદલે સેનેટાઈઝર ભૂલથી પી લીધું

 

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં ભૂલથી સેનેટાઈઝર પી જવાથી 26 વર્ષીય યુવકનું સિવિલ હોસ્પિટલમાં સોમવારે સાંજે મોત થયું હતું. 11 દિવસથી યુવકની સારવાર ચાલી રહી હતી પરંતુ સિવિલ હોસ્પિટલના ડૉકટરો યુવકને બચાવી શક્યા હતા.

ઓઢવ વિસ્તારમાં વલ્લભનગર પાસેની લાલજીભાઈ વસાહતમાં રહેતો ચિરાગ જેઠાભાઇ પ્રજાપતિ ગત તારીખ 4જૂનના રોજ ભૂલથી સેનેટાઈઝર પી ગયો હતો. ચિરાગની તબિયત લથડતા પરિવારજનો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. બનાવને પગલે ઓઢવ પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, ચિરાગની માનસિક રોગની સારવાર ચાલી રહી હતી. ગત તારીખ 4જૂનના રોજ બપોરે 2.30 વાગ્યે ચિરાગે માનસિક રોગની દવાની જગ્યાએ સેનેટાઈઝર ભૂલથી પી લીધું હતું. તબિયત લથડતા ચિરાગને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. 11 દિવસની સારવાર બાદ સોમવારે સાંજે ચિરાગનું મોત થયું હતું. ઓઢવ પોલીસે અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે બનાવ અંગે સેનેટાઈઝર કઈ કંપનીનું હતું? તેમજ તે બનાવવા અંગે કંપની પાસે કોઈ લાઇસન્સ હતું કે નહીં? તે દિશામાં તપાસ શરૂ કરી છે.

(9:54 pm IST)