Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

બગસરાના હામાપુરથી નકલી ખાતર ઝડપાયું :નર્મદા કેન નામનું નકલી ખાતરની 30 ગુણી સીઝ

અધિકારી હામાપુર પહોંચતા ટ્રેકટર લઈને લેભાગુ તત્વ નકલી ખાતરની થેલી મૂકીને ભાગી ગયો

અમરેલી : રાજ્યમાં નકલી બિયારણને નકલી ખાતર ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. ત્યારે આવા નકલી ખાતરનો 30 ગુણીનો જથ્થો અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુર ખાતેથી જી.એન.એફ.સી.ના અધિકારીએ ઝડપી પાડ્યો હતો.

  અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું હામાપુર ગામે ખેડૂતોને છેતરવા માટે 1 લેભાગુ તત્વએ ખેડૂતોને 680ના ભાવે નર્મદા કેન નામનું ખાતર સસ્તું મળતું હોવાના સમાચારથી ખાતર વિભાગના જી.એન.એફ.સી.ના અધિકારી હામાપુર પહોંચતા ટ્રેકટર લઈને લેભાગુ તત્વ નકલી ખાતરની થેલી મૂકીને ભાગી ગયો હતો. આ નર્મદા કેન નામનું ખાતર 6 વર્ષ પહેલા સરકારે બંધ કરી દીધું છે. પણ ખેડૂતોને આવા છેતરપિંડી કરતા તત્વો નકલી ખાતર પધરાવી દે તે પહેલાં પર્દાફાશ થયો હતો.

કણ વાવીને મણ લેવાના સ્વપના સેવતા ખેડૂતો નકલી બિયારણ કે નકલી ખાતર લેભાગુ તત્વો ધાબડી જતા હોય છે. ખાતરની સસ્તી થેલી મેળવવાની લાલચમાં ખેડૂત ફસાઈ છે. પણ હામાપુરમાં 30 ગુણી નર્મદા કેન નામનું ખાતર વેચાણ થાય તે પહેલા જી.એન.એફ.સી.ના અધિકારી પહોંચી જતા ટ્રેકટર લઈને લેભાગુ ફરાર થઈ ગયો હતો.બાદ જી.એન.એફ.સી.અધિકારી દ્વારા આ નકલી ખાતરની થેલીઓ સિઝ કરી હતી

(11:45 pm IST)