Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

નડિયાદના પીપલગ નજીક માર્ગ અકસ્માતમાં એકનું કમકમાટી ભર્યું મોત: એકને ગંભીર ઇજા

નડિયાદ:તાલુકાના પીપલગ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતુ. જ્યારે એક ઈસમને ઈજા પહોંચી હતી. જ્યારે કઠલાલ તાલુકાના ગંગાદાસના મુવાડામાં સર્જાયેલા અકસ્માતમાં એક ઈસમને ઈજા થઈ હતી. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ડુમરાલમાં રહેતાં મનહરભાઈ કાભઈભાઈ પરમાર અને તેમના મિત્ર રિતેશભાઈ મનીષભાઈ પરમાર ગત મોડી રાત્રે મોટરસાઈકલ નં જીજે ૦૭ સીએન ૭૨૦૨ લઈ સોજીત્રા ખાતે મનહરભાઈની સાસરીમાં જવા નીકળ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પર પીપલગ ગામની સીમમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિર નજીકમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન વળાંકમાં પુરપાટ ઝડપે બાઈક ચલાવી રહેલ મનહરભાઈ પરમારે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં બાઈક રોડની સાઈડે ઉતરી જઈ ઝાડ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં મનહરભાઈ તેમજ રિતેશભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા મનહરભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત બનેલા રિતેશભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

(5:32 pm IST)