Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

જાતિવાદ ભડકાવી,તૃષ્ટિકરણની રાજનીતિને અપનાવી સતા મેળવવાના મનસૂબા ધરાવનારા સફળ થશે નહીં

ગુજરાત પોલીસ તંત્રનું મોરલ તોડવાના પ્રયાસોને પણ રાજ્ય સરકાર ચલાવી નહીં લે : પ્રદીપસિંહ જાડેજા

 

ગાંધીનગર:ગુજરાતમાં જાતિવાદ ભડકાવીને, તૃષ્ટિકરણની રાજનીતિ અપનાવીને, સત્તા મેળવવાના મનસુબા ધરાવનારાઓની કોઈ કારી સફળ થવાની નથી. ફરીથી શરૂ કરાયેલા આવા પ્રયાસોને રાજ્યની શાણી-શાંતિપ્રિય પ્રજા જાકારો આપશે તેમ વિધાનસભામાં કોંગ્રેસને જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું

  રાજ્યની શાંત, સલામતિ અને સુરક્ષા માટે સતત ૨૪ કલાક સુધી તૈનાત રહેનારા ગુજરાત પોલીસ તંત્રનું મોરલ તોડવાના પ્રયાસોને પણ રાજ્ય સરકાર ચલાવી નહીં લે. ભાજપને સીધી રીતે પરાસ્ત કરવાનું મુશ્કેલ હોવાથી હવે, કોંગ્રેસે જાતિવાદનો સહારો લીધો છે. અનામત આંદોલનમાં પાટીદારો વિરુધ્ધ કરવામાં આવેલા ૫૩૭ કેસો પૈકી ૯૦ ટકા કેસો પરત ખેંચી લેવાયા છે. પાટીદાર, ભાજપનું પીંડ છે. તેઓ ભાજપની સાથે જ રહેવાના છે.તેમ પ્રદીપસિંહે ઉમેર્યું હતું 

  વિધાનસભા ગૃહમાં ગૃહ વિભાગના રૂપિયા ૫૪૨૦ કરોડના બજેટ પર ચર્ચા હાથ ધરાઈ હતી. જેના જવાબમાં ગૃહ-રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે,રાજ્યમાં ભાજપની સરકારની એક ધારા સતત સુશાસનને કારણે તથા કાયદો-વ્યવસ્થાની કડક કાર્યવાહીના પરિણામે ગુનાખોરીનો દર ઘટ્યો છે. જિલ્લાના મુખ્ય મથકો તથઆ શહેરોને સીસીટીવી કેમેરા સર્વેલન્સ નેટવર્કથી આવરી લેવાનું નક્કી કરાયું છે. ટ્રાફિક બ્રિગેડના સ્વંયસેવકોની સંખ્યા ૬૦૦૦ હતી. તેમાં વધારો કરીને ૧૦,૦૦૦ કરાશે. તેમાં ૩૩ ટકા મહિલાઓને સ્થાન અપાશે. તેમનું વેતન Rs ૨૦૦થી વધારીને Rs ૩૦૦ કરાશે.આગામી વર્ષે સીધી ભરતીથી ભરાનારી ૫૬૩૫ જગ્યાઓમાંથી ૧૫૦૦ જગ્યાઓ ટ્રાફિક હેતુસર ફાળવવામાં આવશે.

  તેમણે કહ્યું હતું કે, રાજ્યના ત્રણ સરહદી જિલ્લાઓ માટે ૫૦ કરોડ, દરિયા કિનારાની સુરક્ષા માટે મરીન પોલીસ સ્ટેશનોમાં રેડિયો ઓવર આઈપી સંદેશા વ્યવહાર પ્રસ્થાપિત કરવા માટે Rs ૨૪ લાખની જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ સ્તરોની જેલોમાં સલામતિની વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા નેટવર્ક એટલે કે વીડિયો સર્વેલન્સ સિસ્ટમથી આવરી લેવા બીજા તબક્કાની કામગીરીમાં બાકી રહેલી ૧૪ જેલોમાં Rs ૧૪ કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા સિસ્ટમ ગોઠવાશે.

  મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, ભારત સરકારે હવે બધા હેલ્પલાઈન નંબરોના સ્થાને નેશનલ ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ હેઠળ ટેલિફોન નંબર-૧૧૨ને રાષ્ટ્રીય આપત્તકાલિન નંબર તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે.ગુજરાતમાં પણે તેનો અમલ થશે નવો આપત્તિકાલિન હેલ્પલાઈન નંબરનો અસરકારક રીતે અમલ થાય તે માટે નવા વાહનો ખરીદવા માટે Rs ૧૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પોલીસ તંત્ર માટે નવા વાહનો ખરીદવા માટે Rs ૪૫.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, હાલ માત્ર અમદાવાદમાં એક જ સાયબર ક્રાઈમ પોલીસ યુનીટ છે. હવેથી વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં વધુ ચાર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો શરુ કરાશે. આ માટે Rs ૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  હાલમાં રાજ્યમાં એકમાત્ર ભૂજ ખાતે જ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર છે. હવેથી અમદાવાદમાં પણ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર સ્થાપવામાં આવશે. આ માટે ૮૮ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

એનસીઆરબીના રિપોર્ટ મુજબ પણ, ૨૦૧૬ની સ્થિતિએ દેશના કુલ ૩૬ રાજ્યોમાંથી હિંસાત્મક ગુનામાં ગુજરાતનું સ્થાન ૩૦મા ક્રમે, મહિલાઓ વિરુધ્ધના ગુનામાં ૨૭મા ક્રમે, બાળકો વિરુધ્ધના ગુનામાં ૨૫માં ક્રમે, મિલકત વિરુધ્ધના ગુનામાં ૨૫મો ક્રમ, શરીર વિરુધ્ધના ગુનામાં ૨૮મો ક્રમ છે.

(9:33 am IST)