Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

દરેક કાર્યકર્તા સંકલ્પ કરે કે મારો જન્મ જીતવા માટે જ થયો છેઃ સી.આર.પાટીલ

કમલમ ખાતે ભાજપના તમામ મોરચાની કારોબારીને પ્રદેશ અધ્યક્ષનું ઉત્સાહવર્ધક સંબોધન

અમદાવાદઃ આજે ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તમામ મોરચાની સંયુકત કારોબારીનો સવારથી પ્રારંભ થયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કાર્યકરોને સંબોધન કર્યુ હતું. આ કારોબારીમાં ભાજપના યુવા મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, અનુસૂચિત જનજાતિ મોરચો, લઘુમતી મોરચા સહિતના મોરચાના મુખ્ય લોકો અપેક્ષિત હતા. ઉદ્ઘાટન સત્રમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકરોનો ઉત્સાહ વધારતા જણાવેલ કે, દરેક કાર્યકર્તા સંકલ્પ કરે કે મારો જન્મ જીતવા માટે જ થયો છે. ગુજરાતમાંથી શરૂ થયેલી પેજ કમીટીનો વિચાર સમગ્ર દેશમાં લાગુ કરવાનો નિર્ણય કરાયો છે. ઘણી વખત જનરલ બોડી કરતા પણ સંગઠન સારૂ કામ કરી બતાવે છે. આ તકે બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ સહિત વિવિધ મોરચાના પ્રમુખોએ સી. આર. પાટીલનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. આ કારોબારીમાં વિવિધ મોરચાઓના અલગ-અલગ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં યુવા મોરચાની વિસ્તારક યોજના, યુવા સંમેલન, બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત મહિલા મોરચા દ્વારા આગામી દિવસોમાં રાજયમાં ૪ ઝોન વાઇઝ મહિલા સંમેલનો યોજી રાજય - કેન્દ્ર સરકારે મહીલાઓ માટે કરેલ કામગીરીની માહિતી અપાશે.

(4:05 pm IST)