Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

આપણી આયુર્વેદની પ્રાચીન પદ્ધતિ કેન્‍સર સામે લડવામાં મદદ કરી શકે છે, અેલોપેથી ટ્રીટમેન્ટ સામે આયુર્વેદની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો સારા પરિણામો મળેઃ અમદાવાદમાં યોજાઇ વિશ્વ આયુર્વેદ કોન્‍ફરન્‍સ

અમદાવાદઃ લાઈફસ્ટાઈલ અને બીજા અનેક કારણોસર આજકાલ કેન્સરના કેસ ભારત અને દુનિયાના બીજા દેશોમાં વધતા ચાલ્યા છે. આવામાં અમદાવાદમાં યોજાયેલી આઠમી વિશ્વ આયુર્વેદ કોન્‍ફરન્સમાં ભાગ લેનારા નિષ્ણાંતોએ જણાવ્યું કે આપણી આયુર્વેદની પ્રાચીન પદ્ધતિ કેન્સર સામે લડવામાં મદદ કરી શકે છે. એલોપેથી ટ્રીટમેન્ટ સાથે આયુર્વેદની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો વધુ સારા પરિણામો મળે છે.

કિમો થેરાપીથી થતુ નુકસાન અટકાવેઃ

ચાર દિવસની ઈવેન્ટનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. પહેલા દિવસે કેન્સરમાં આયુર્વેદિક ટ્રીટમેન્ટની અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં ચર્ચાયુ હતુ કે આયુર્વેદ રેડિયેશન થેરેપી અને કિમો થેરેપી દરમિયાન શરીરના ટિશ્યુને થતા ડેમેજથી રક્ષણ કરી શકે છે.

કેન્સરમાં આયુર્વેદ ઉપચાર આપે છે સારુ રિઝલ્ટઃ

વૈદ્ય પવન કુમાર ગોદાત્વારે જણાવ્યું કે આખી દુનિયામાંથી લોકો આયુર્વેદને જીવન જીવવાની પદ્ધતિ અને રોગોથી બચવાના ઉપાય તરીકે જોઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, “આયુર્વેદના ભવ્ય વારસાને સાયન્ટિફિક પેપર્સ પર ટેકો આપે છે. આખી દુનિયાના સંશોધકો નેટવર્ક બાયોલોજી અને ઈમ્યુનોલોજી જેવા કોન્સેપ્ટને આયુર્વેદની રીતે અમલમાં મૂકી રહ્યા છે. અમે વૈદ્યોને તેમના સંશોધનોનું દસ્તાવેજીકરણ કરી વિશાળ મેડિકલ કોમ્યુનિટી સુધી પહોંચાડવા પ્રોત્સાહન આપી રહ્યા છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેન્સરમાં એલોપેથી સાથે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવાથી વધુ સારા પરિણામો મળી શકે છે.

એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ઘટાડી શકાયઃ

સંશોધનમાં પણ પ્રકાશમાં આવ્યું છે કે દુર્ગંધ આવતી હોય તેવા ઘા અને ઈન્ફેક્શનને કાબુમાં લેવા માટે લીમડાથી બનેલી પોટલી અસરકારક છે. લીમડામાં એન્ટિબાયોટિક ગુણો રહેલા છે. ઉપરાંત ઘા ચોખ્ખા કરવા માટે હર્બલ ઉકાળા કે કાઢાનો ઉપયોગ કરી શકાય જેને કારણ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ઘટાડી શકાય છે.

પ્રાચીન ગ્રંથોમાં છે ઉલ્લેખઃ

કિમોથેરાપી કરાવતા દર્દીઓ પર આયુર્વેદિક ટ્રીટમેન્ટની સારી અસર જોવા મળી છે. આયુર્વેદિક ટ્રીટમેન્ટ કુદરતી ઘાતક કોષોને ઘટાડવામાં પણ મદદ કરે છે. પેપરમાં પ્રાચીન ગ્રંથોમાં કેન્સર જેવી સ્થિતિનું વર્ણન જોવા મળે છે. ગ્રંથોમાં લખ્યું છે કે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ અપાય તો પરિસ્થિતિ કાબુમાં લઈ શકાય છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે ટ્રીટમેન્ટ દર્દીની હાલત કેવી છે તેના પર પણ મદાર રાખે છે.

(4:41 pm IST)