Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ગુજરાતમાં ડેંગ્યુ રોગ હજુ બેકાબૂ : કેટલાય નવા કેસો

જામનગર, રાજકોટ, અમદાવાદમાં હાલત કફોડીઃ મોતના આંકડાને લઇને વિરોધાભાષી અહેવાલો સપાટી પર આવતા ચિંતા વધી : હોસ્પિટલમાં ખાટલાઓની કમી

અમદાવાદ, તા. ૧૬: અમદાવાદની સાથે સાથે રાજ્યભરમાં ડેંગ્યુ રોગચાળાએ જોરદાર હાહાકાર મચાવી દીધો છે. આજે એકલા જામનગરમાં વધુ ૬૪ કેસ સપાટી પર આવતા કેસોની સંખ્યા વધીને ૧૦૦૦થી પણ ઉપર પહોંચી ચુકી છે. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, જામનગર અને અન્યત્ર વિસ્તારમાં ડેંગ્યુએ જોરદાર આતંક મચાવ્યો છે. જામનગરમાં મોતના આંકડાને લઇને ભારે વિરોધાભાષની સ્થિતિ પ્રવર્તી રહી છે. સરકારના કહેવા મુજબ આઠ લોકોના મોત થયા છે જ્યારે જામનગરમાં ૧૧ના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ડેંગ્યુએ જોરદાર આતંક મચાવતા કાબૂ બહાર સ્થિતિ થઇ છે. એકલા સપ્ટેમ્બર મહિનામાં જ ૬૦૦૦ જેટલા ઇન્ડોર દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. હાલમાં જામનગરની ખાનગી હોસ્પિટલમાં ૫૦૦થી પણ વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાના અહેવાલ મળ્યા છે.  જિલ્લામાં વધારે પડતા વરસાદના કારણે પણ ચિંતાજનકરીતે કેસોની સંખ્યા વધી છે. તમામ લોકો જાણે છે કે, મોનસુનની વર્તમાન સિઝનમાં જામનગરમાં સૌથી વધારે વરસાદ થયો છે. જામનગરમાં આ સિઝનમાં ૧૧૨૧ મીમી સુધીનો વરસાદ થયો છે. એટલે કે સામાન્ય વાર્ષિક સરેરાશ કરતા ૧૮૨ ટકા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં મોસ્કિટો બ્રિડિંગ સ્થળો મળી આવ્યા છે. અમદાવાદ શહેરમાં પણ સ્થિતિ એકદમ સારી દેખાઈ રહી નથી. પહેલી જાન્યુઆરીથી લઇને ૧૫મી ઓક્ટોબર વચ્ચેના ગાળામાં અમદાવાદ અને જામનગર મ્યુનિ સત્તાવાળાઓએ મોતના અહેવાલને સમર્થન આપ્યું છે. અમદાવાદમાં પણ ડેંગ્યુએ જોરદાર આતંક મચાવી દીધો છે. ડેંગ્યુ મોતને લઇને જે આંકડા વિરોધાભાષી આવી રહ્યા છે તેનાથી ચિંતા વધારે ફેલાઈ ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં મુખ્ય સચિવ જ્યંતિ રવિના કહેવા મુજબ ગાંધીનગરમાં  ગયા વર્ષની સરખામણી કરવામાં આવે તો ચિત્ર સ્પષ્ટ થાય છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રોગચાળાના કેસોમાં ૪૮.૩ ટકા સુધીનો વધારો થઇ ચુક્યો છે. આંકડા ઉપર નજર કરવામાં આવે તો પહેલી જાન્યુઆરીથી ૧૪મી ઓક્ટોબર વચ્ચેના ગાળામાં ૫૯૬૧ ડેંગ્યુના કેસો અને ૭૫૯૩૨ શંકાસ્પદ ડેંગ્યુ કેસો નોંધાઈ ચુક્યા છે.

જામનગરમાં સપ્ટેમ્બર બાદથી ૧૧ના મોત થઇ ચુક્યા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અહીં પણ હાલત કફોડી બનેલી છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રોગચાળાને રોકવા માટે ફોગિંગ સહિતની પ્રક્રિયાને વધુ તીવ્ર કરવામાં આવી ચુકી છે. જામનગર ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં ડેંગ્યુના નવા મામલા સપાટી ઉપર આવ્યા હતા.

(10:06 pm IST)