Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

કર્મવીર નરેન્દ્રભાઈ માટે 'નેશન ફર્સ્ટ' એ માત્ર સુત્ર નથી, પરંતુ એ જીવનમંત્ર છે અને કર્મસાધના છે

દેશપ્રેમી, સંવિધાન પ્રેમી, નર્મદા પ્રેમી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હૃદયપૂર્વકની શુભકામના

લેખક ભરત પંડયાઃ ગરવી ગુજરાતનાં ગૌરવશાળી કર્મવીરશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે 'નેશન ફર્સ્ટ'એ માત્ર સુત્ર નથી, પરંતુ એ જીવનમંત્ર છે અને કર્મસાધના છે. મારે તેમની સાથેના ૩૭ વર્ષના સંપર્ક, સંબંધ, સાક્ષી સાથેના સંભારણોની હારમાળામાંથી ત્રણેક સંભારણા યાદ કરવા છે.

કન્યાકુમારીથી કાશ્મીરની 'એકતા યાત્રા' સુરેન્દ્રનગર ખાતેની 'સંવિધાન યાત્રા' અને નર્મદા યોજના માટેની તેમની 'સંઘર્ષ યાત્રા' આ ત્રણેય માંથી તેમનામાં રહેલાં દેશપ્રેમ, સંવિધાન પ્રેમ અને વિકાસ પ્રેમના દર્શન થાય છે.

એકતા યાત્રા અને ૩૭૦ કલમ

નિયતિએ જેના દ્વારા, જે કામ નક્કી કર્યું હોય, તે કરાવીને જ રહે છે.

તા.૧૧ ડીસે ૧૯૯૧ ગુરૂ તેગબહાદૂર બલિદાન દિવસે કન્યાકૂમારી થી કાશ્મીર સુધીના 'એકતા યાત્રા'ના સંયોજક શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તે સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.મુરલી મનોહર જોષીએ આ એકતા યાત્રા ૪૫ દિવસમાં પૂર્ણ કરીને આતંકવાદીઓના પડકારો વચ્ચે શ્રીનગરના લાલચોકમાં ભારતનો તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. કન્યાકુમારી થી નીકળીને આ યાત્રા 'જહાં હુએ બલિદાન મુખર્જી, યહ કાશ્મીર હમારા હૈ' ના નારા સાથે ૧૪ રાજયો માંથી પસાર થઈને લગભગ ૧૫૦૦૦ કિ.મી.નો પ્રવાસ કરીને કાશ્મીર પહોંચી હતી. આ એકતા યાત્રામાં મારે દિલ્હીથી જોડાવવાનું થયું હતું  અને પછી ૫ રાજયોમાં આ એકતાયાત્રાના એકતાયાત્રી તરીકે નાની મોટી જવાબદારી સાથે કાશ્મીર માટે લોકોમાં ઊભી થયેલી દેશભકિત-જનજાગૃતિનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. સમગ્ર યાત્રાની રૂપરેખા, કાર્યક્રમો, સૂચનાઓ, સભાઓ, રથ અને રથયાત્રીઓની વ્યવસ્થાઓમાં પોતાનો સંપૂર્ણ લોહી પસીનો કરતાં કર્મઠ, શ્રેષ્ઠ યોજક-સર્જક શ્રી નરેન્દ્રભાઈ સાથે કામ કરવું તે મારા જીવનનું યાદગાર સંભારણું છે.

દેશનાં ૧૪ રાજયોના કરોડો લોકોની પ્રદક્ષિણા-પરીક્રમા કરતી આ એકતા યાત્રાના સંયોજક શ્રી નરેન્દ્રભાઈ મોદી અંગ્રેજી, હિન્દી અને કોઈવાર જે તે રાજયની ભાષામાં પણ પ્રવચનો આપતાં હતાં. તેમના પ્રવચનનાં પ્રભાવમાં દેશભકિતનાં માહોલમાં 'વંદેમાતરમ','ભારત માતા કી જય'ના નારાઓ સાથે લોકો ભાવવિભોર બનીને ગુજરાતના આ યુવા વકતાને તાલીઓના ગડગડાટથી વધાવી લેતાં હતાં. ભાષા ઉપર તેમની પકડ, કાશ્મીર પર તેમનો અભ્યાસ, સ્થાનિક વિષય વસ્તુનો ઉલ્લેખ, દેશની સંસ્કૃતિની પ્રગટીકરણ અને  રાષ્ટ્રભકિત માટે જનશકિતને આહવાન કરતાં શ્રી નરેન્દ્રભાઈના પ્રવચનોથી પ્રભાવિત લોકોને એમ થતું કે દેશનાં નેતા આવાં જ હોવાં જોઈએ. ૩૭૦ કલમ હટાવીને સાચા અર્થમાં કાશ્મીર ભારતનું અવિભાજય અંગ બને તે માટે રાષ્ટ્રભકિતની જનજાગૃતિ માટેની આ યાત્રા ઐતહાસિક ભવ્યતા સાથે સંપૂર્ણ સફળ થઈ હતી.

તા.૨૬મી જાન્યુ ૧૯૯૨ શ્રીનગરના લાલચોકમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતનો તિરંગો ફરકાવ્યો ત્યારે તો તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પણ ન હતાં કે કેન્દ્રમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે આવશે તેવાં કોઈ સિગ્નલ પણ દેખાતાં ન હતાં એટલે પ્રધાનમંત્રી થવાની વાત તો દૂર હતી. આ ૧૪ રાજયોમાં ૧૫૦૦૦ કિ.મી.ના થયેલા કાશ્મીરમાં ૩૭૦ હટાવવા અંગેના શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રવચનોના નાદ સતત બ્રહ્માંડમાં ઘુમતો રહ્યો હશે અને ભગવાને, જનતાએ તેમને પહેલાં ગુજરાતનાં મુખ્યમંત્રી અને પછી દેશના પ્રધાનમંત્રી બનાવ્યાં અને લગભગ ૨૮ વર્ષે તા.૫-૬ ઓગષ્ટ ૨૦૧૯ ના રોજ ૩૭૦ હટાવીને દેશની એકતા-અખંડિતતાના ઐતિહાસિક કાર્ય નિયતિએ જે નક્કી કર્યું તે નરેન્દ્રભાઈ એ કરીને બતાવ્યું.

કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫એકલમ હટાવીને દેશ-વિદેશના ભારતીયોને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રબળ ઈચ્છાશકિત અને પ્રખર દેશભકિતના દર્શન કરાવી દીધાં છે. દેશની અખંડિતતા, જમ્મુ કાશ્મીરની જનતાના કલ્યાણ અને અલગાંવવાદી-આતંકવાદી સામેની લડાઈ માટેના અભૂતપૂર્વ નિર્ણય માટે સમગ્ર દેશ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહને હમેશાં યાદ રાખશે. આઝાદી સમયે ૫૬૨ રજવાડા એક કરીને દેશની એકતાના શિલ્પી સરદાર પટેલના કાશ્મીર અંગેના અધૂરા સ્વપ્નને ગુજરાતની આ મોદી-શાહની જોડીએ સાકાર કરીને, ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનને સાર્થક બનાવીને સાચા અર્થમાં શ્રદ્ઘાંજલિ આપી છે.

સંવિધાન સન્માન-સુરેન્દ્રનગરની પદયાત્રા અને સંસદ ગૃહ સુધી

લોકમન-લોકમતથી શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત બીજીવાર દેશનાં પ્રધાનમંત્રી બન્યાં અને તા.૨૫-૦૫-૨૦૧૯ ના રોજ સંસદમાં સૌથી વિશાળ લોકશાહીના વિરાટ સંવિધાનને પગે લાગ્યાં ત્યારે સંસદના ગૃહમાં તાળીઓની ગુંજ સાથે દેશનાં મિડીયાનાં કરોડો દર્શકોમાં પણ ભાવવિભોર ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.મને આ દૃશ્ય જોઈને ૨૪ જાન્યુ ૨૦૧૦નું એક સુરેન્દ્રનગરનું સંભારણું યાદ આવી ગયું. ભારતનાં સંવિધાનને ૬૦ વર્ષ પૂર્ણ થયાં ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માન-સન્માન-ગૌરવ સાથે સંવિધાનને હાથની અંબાડી પર પ્રસ્થાપિત કરીને પોતે પદયાત્રા કરી હતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મને ફોન કરીને આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી સોંપી હતી. ડો.બાબાસાહેબની પ્રતિમા, બંધારણના પુસ્તકને પુષ્પાહાર કરીને તેમણે કરેલ એક યાદગાર અને ઐતિહાસિક પ્રવચનમાં દેશની એકતા-ગૌરવ અને દિશાદર્શન હતું અને સંવિધાન પ્રત્યેના તેમનો પ્રેમ આ વાકયોમાં છલકતો હતો.

કોંગ્રેસે ૮૬ વાર બંધારણમાં સુધારા કર્યાં સમગ્ર દેશમાં લોકશાહી વિરોધી કટોકટી નાંખીને સરકારી તંત્ર, પ્રજાતંત્ર, મિડીયા તંત્રને બાનમાં રાખ્યું. લગભગ ૫૦થી વધુ વાર ૩૫૬નો દૂરપયોગ કરીને લોકશાહી મુજબ લોકમતથી ચૂંટાયેલી રાજય સરકારોને બરખાસ્ત કરવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. માત્ર મતોના તૃષ્ટીકરણ માટે શાહબાનુ કેસ બાબતે બંધારણમાં ફેરફાર કર્યો. જયારે ભાજપે હમેશાં સંવિધાનને સન્માન આપ્યું છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતશાહે 'અસ્થાયી ૩૭૦ કલમ'હટાવીને કાશ્મીરમાં 'ભારતના બંધારણને સ્થાયી' બનાવી દીધું. શ્રી નહેરૂજી કોંગ્રેસ સમયે કાશ્મીરમાં 'દો નિશાન-દો વિધાન-દો પ્રધાન' નહીં ચલેગાં નહીં ચલેગાંનાં જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના સુત્ર-સ્વપ્નને સાકાર કરી 'એક દેશ-એક સંવિધાન'ને પ્રસ્થાપિત કર્યું છે.

૩૭૦ હટતાં જ કાશ્મીરમાં વિષમતા, વિસંગતતાની હાર થઈ છે અને દેશની અખંડિતતા તેમજ સમરસતાની જીત થઈ છે. કાશ્મીર માટે શહીદ થયેલાં શહીદવીરોનું સન્માન છે. સફાઈ કામદારો સાથે નોકરીમાં થતાં અન્યાય સામેનો આ ન્યાય છે. ૧૯૯૦થી વિસ્થાપિત થયેલ ૫ લાખ કાશ્મીરી પંડિતોની પીડા અને સંદ્યર્ષસામે એક સહાનુભૂતિ અને પુનઃવસન માટેનું દિશાદર્શક પગલું છે. હવે કાશ્મીરમાં ભારતનાં સંવિધાન મુજબ આર.ટી.સી., કેગ અને ગરીબ પછાતને અનામત સહિત કાયદાઓ અમલમાં મુકાશે અને ભારતના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરનારને સજા આપશે. 

નમો  નર્મદા-સુખી સર્વદા

ગુજરાતની જનતા જાણે છે, માને છે અને અનુભવે છે કે જો શ્રી નરેન્દ્રભાઈ મોદી ન હોત તો નર્મદા યોજના પૂરી ન થઈ હોત. નર્મદા યોજના પૂરી થાય તે માટે સતત સંદ્યર્ષ સાથે યુદ્ઘના ધોરણે ડેમનું કામ પૂર્ણ થાય તે માટે શ્રી નરેન્દ્રભાઈ એ ભગીરથ પ્રયાસ કર્યો છે. કેન્દ્રમાં કોંગ્રેસના શાસન સમયે તત્કાલિન કેન્દ્રીય મંત્રી સૈફુદિન સૈજૈ સુપ્રિમ કોર્ટમાં એફિડેવીટ કરીને નર્મદાનું કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને તે સમયે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૩ દિવસમાં ઉપવાસ પર બેસવું પડ્યું હતું. કોંગ્રેસે નર્મદા ડેમની ઉંચાઈ હોય કે ડેમના દરવાજા હોય કે કેનાલો કે વિસ્થાપિતોના મુદ્દે નર્મદા યોજનાને અટકાવા માટેના સતત પ્રયાસો કર્યાં છે. નર્મદા મૈયાનાં નીર ગુજરાતના ખેડૂતો કરોડો લોકોને ન મળે તે માટે યોજનાને અટકાવવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. નર્મદા ડેમના દરવાજા માટેની મંજૂરી કોંગ્રેસની મનમોહન સિંહની સરકારે ૭ વર્ષ સુધી આપી ન હતી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યાં બાદ માત્ર ૧૭ દિવસમાં મંજૂરી આપવામાં આવી હતી.

આઝાદી પછી ૧૯૫૦માં સરદાર પટેલે નર્મદા ડેમની માંગણી કરી અને ૧૯૬૩માં નહેરૂજીએ શિલાન્યાસ કર્યો. પરંતુ કોંગ્રેસે ૩ દાયકામાં માત્ર ૯ ટકા કામ કર્યું જયારે ભાજપના સમયમાં ૯૧ ટકા કામ થયું છે. ૨૦૧૭જ્રાક્નત્ન નર્મદા ડેમનું કામ પૂર્ણ થયું અને હવે ૧૭જ્રાક સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ભગવાનની કૃપાથી સારા વરસાદનાં કારણે પાણીથી ૧૩૮ મીટર છલોછલ ભરાશે અને ગુજરાતની કરોડો જનતાની આંખોમાં હરખના પાણી છલકાશે. ૭૦ વર્ષના ગુજરાતની જનતા આતુરતા, આશા, અપેક્ષાનો અંત આવશે.

સરદાર સરોવર ભારતની સાત અજાયબીમાની એક છે. સમગ્ર દુનિયામાં ડેમનો ક્રોક્રીટ જથ્થાની દૃષ્ટિએ બીજો નંબર આવશે. પાણીની સંગ્રહશકિતમાં દુનિયામાં સૌથી મોટો ડેમ છે.ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં પાણીની લંબાઈ (હોલ) ૨૧૪ કિમીની થશે અને તેમાં ૫,૭૫,૦૦૦ કરોડ લીટર પાણી સમાશે. ગુજરાતના ૨૨ જીલ્લામાં ૧૪૫ તાલુકાના ૯૦૦૦ ગામો, ૧૬૫ શહેરેમાં પાણી મળશે અને ૧૯ લાખ હેકટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે. ગુજરાતની ધરતીને લીલુછમ બનાવશે.

નર્મદાએ ગુજરાતની ભાગ્ય વિધાતા છે. એ માત્ર ગુજરાતના નકશાની રેખા નથી. પરંતુ ગુજરાતની સમૃદ્ઘિની હસ્તરેખા છે, વરદાયિની, ફળદાયિની છે.

નરેન્દ્રભાઈ, નર્મદા યોજના માટે ગુજરાત તમારો ભાવસભર, લાગણીસભર આભાર માને છે.

આલેખનઃ ભરત પંડયા

મો.નં.૯૮૨૫૦ ૧૦૩૨૯

(4:16 pm IST)