Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

૧૮ રેલવે-ફલાય ઓવર નીચે હવે પે એન્ડ પાર્કિંગ બનાવાશે

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં ૫૧ કામોને મંજૂરી અપાઈ : આ પાર્કીંગમાં ૬૫૦૦ ટુ વ્હીલર તથા ૭૬૦ ફોર વ્હીલર પાર્ક થશે : શાહીબાગથી એરપોર્ટના રસ્તાનું નવીનીકરણ

અમદાવાદ, તા. ૧૬ : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે ૧૬૫ કરોડના ૫૩ કામોમાંથી બે કામોને બાદ કરતાં ૫૧ કામોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં શહેરના ૧૮ રેલવે ઓવરબ્રીજ તથા ફલાય ઓવરબ્રીજ નીચે રેવન્યુ સેરીંગ બેઈઝ પે એન્ડ પાર્કિંગના ટેન્ડરને મંજુર કરવામાં આવ્યું છે. પાર્કીંગમાં ૬૫૦૦ ટુ વ્હીલર તથા ૭૬૦ ફોર વ્હીલર પાર્ક થઈ શકશે. ઉપરાંત ૭૫ લાખના ખર્ચે શાહીબાગથી એરપોર્ટ સુધીના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે. સિવાય પાનના ગલ્લાં સીલ કરવા તેમ દંડની ઉઘરાવાતી વધુ રકમ અંગે ચોક્કસ નીતિ ઘડવા અંગે વહીવટી પાંખને સૂચના આપી હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું હતું.

         અમુલ ભટ્ટે સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ અંગેની વિગતો આપતાં કહ્યું હતું કે, "ઉત્તર અને પૂર્વ ઝોનમાં બંધ પ્રોપર્ટીનો બીજો ઉપયોગ થઈ શકે તેમ હોય તો તે જગ્યા સંપાદિત કરી રિનોવેટ કરીને ઉપયોગ કરવા અંગે એસ્ટેટ વિભાગને ડીવાયએમસી સાથે ચર્ચા કરવા પણ જણાવ્યું છે. જયારે ઘોડાસર પાણીની ટાંકીનો વિસ્તાર સેલ ફોર રેસીડેન્ટનો છે. જેથી તેનો હેતુફેર કરવાની દિશામાં પગલાં લેવા અધિકારીને જણાવ્યું છે. જયારે ભાઈપુરા વિસ્તારમાં અડચણરૂપ બે દુકાનો સામે મનાઈ હુક્મ છે. તે દૂર કરવા માટેની કાર્યવાહી કરવા પણ તાકીદ કરાઈ છે."

       એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે, શહેરમાં ત્રણ પ્રકારે ભુવા પડે છે. ભૂતકાળમાં ડ્રેનેજ કે સ્ટ્રોમ વોટરના કામના કારણે રોડ બેસી જાય છે. તે રીતે પાણી અને ડ્રેનેજ લાઈનમાં લીકેજના કારણે જમીન પોચી થઈ જવાના કારણે તે બેસી જાય છે. ત્રીજો મેનહોલ બેસી જવાના કારણે પણ ભુવા પડતાં હોય છે. નાનું બ્રેકડાઉન હોય તો તેને ત્વરિત રીપેરિંગ કરવા સૂચના આપી છે. જયારે મેનહોલવાળા ઈસ્યુમાં આરસીસીથી ચણતર કરવાનું થાય છે. તે અંગેની પ્રક્રિયા પણ ચાલુ છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, કાંકરિયાની જેમ નહેરૂબ્રીજ પર એક કરોડના ખર્ચે ડેકોરેટીવ લાઈટીંગનું કામ મંજુર કરી દીધું છે. તેમાં પાંચ વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટનન્સ પણ થશે. જયારે વાસણા રંગસાગર પાસે અત્યંત આધનિક એરકન્ડીશનર સાંસ્કત્તિક કેન્દ્ર તથા રમત-ગમત કેન્દ્ર પણ ઊભું કરવાના છીએ. તેના માટે અગાઉ .૧૮ કરોડનું ટેન્ડર મંજુર કર્યું હતું. તેમાં કરોડનો વધારો કરીને કુલ .૩૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. ચોમાસા પહેલાં મેયર બિજલબેનની મેટ્રોના અધિકારીઓ સાથે ચર્ચા થઈ ગઈ હતી. જેમાં વરસાદના કારણે ખાડામાં કોઈ અકસ્માત ના સર્જાય તે જોવા સૂચના આપી હતી. પરંતુ ગુરૂકુળ રોડ અંગે ફરીવાર તેમને ફોલોઅપ કરવામાં આવશે.

(7:53 pm IST)