Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સ્વાઇન ફ્લુનો કાળોકેર હજુય યથાવત જારી : ૮૯ નવા કેસો

મોતનો આંકડો વધીને ૬૦ ઉપર પહોંચી ગયોઃ સ્વાઈન ફ્લુના મામલાની સંખ્યા રોકેટગતિએ વધીને હવે ૧૬૦૫ થઇ : ૫૭૯થી વધારે દર્દી હજુય સારવાર હેઠળ

અમદાવાદ,તા.૧૫: ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર આજે પણ યથાવત રહ્યો હતો. સ્વાઇન ફ્લુના કારણે મોતનો આંકડો આજે વધીને ૬૦ ઉપર પહોંચી ગયો હતો. આજે વધુ બે લોકોના મોત થયા હતા અને ૮૯ નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા. એક જ દિવસમાં ૮૯ નવા કેસની સાથે જ ખળભળાટ મચી ગયો છે. ૪૪ દિવસના ગાળામાં જ સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા વધીને  ૧૬૦૫ ઉપર પહોંચી હતી જ્યારે મોતનો આંકડો ૬૦ ઉપર પહોંચી ગયો હતો. આ વર્ષે સ્વાઈન ફ્લુના કારણે લોકોની હાલત કફોડી બનેલ છે. પહેલી જાન્યુઆરી બાદથી રાજ્યમાં સ્વાઈન ફ્લુના પોઝિટિવ દર્દીઓની સંખ્યા આજે વધીને ૧૬.૫ થઇ છે જ્યારે ૮૭૯ દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવ્યા બાદ રજા આપી દેવામાં આવી છે. ૫૭૯ દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. ભારત સરકાર દ્વારા પણ સ્વાઈન ફ્લુને લઇને આંકડા જારી કરવામાં આવ્યા છે. છેલ્લા ૪૩ દિવસના ગાળામાં દેશભરમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ૯૪૦૦ સુધી પહોંચી ચુકી છે. ૩૧૨થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. દર્દીઓના મામલામાં રાજસ્થાન પ્રથમ ક્રમે છે. રાજસ્થાનમાં હજુ સુધી મોતનો આંકડો ૧૦૭ ઉપર પહોંચ્યો છે. ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૬૦૫ થઇ છે. આમાથી મોતનો આંકડો ૬૦ ઉપર પહોંચ્યો છે.  જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુથી દર્દીઓના કેસ એકાએક વધ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુએ વધુ વિનાશક રુપ ધારણ કર્યું હતું. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. ૫૭૯ લોકો હજુ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્કુલ અને કોલેજો માટે પણ આરોગ્ય ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્યત્ર વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે જોવા મળ્યો છે. એકલા રાજકોટમાં પહેલી જાન્યુઆરી બાદથી જ સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો ૩૬થી વધુ થઇ ગયો છે જ્યારે કચ્છમાં મોતનો આંકડો સત્તાવાર રીતે જાણી શકાયો નથી. આંકડાઓ મુજબ ગુજરાતમાં સ્વાઈન ફ્લુના દરરોજ ૩૨ નવા કેસ બની રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે સરકારી સ્કુલોમાં રહેલા શિક્ષકોને પણ લક્ષણો પર ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દર્દીઓને વિના મૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે.

(9:53 pm IST)