Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

આજે વિવિધતામાં સંવાદિતતા જરૃરી છે. સમાજમાં નાત-જાતને ભેદ મટી સમરસતા સર્જાય ત્યારે સાચો રાસોત્સવ કહેવાય - શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ તથા સમૂહ રાસની રમઝટ ના વચ્ચે એસજીવીપી ગુરુકુલમાં ઉજવાયેલ દિવ્ય શરદોત્સવ : ઉમટેલ માનવ મહેરામણ

અમદાવાદ તા.૧૩શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસવીપી ખાતે શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં પાંચ હજાર ઉપરાંત ભાવિકોની હાજરીમાં ઠાકોરજીની ચાર આરતિ સાથે શરદપૂર્ણિમા મહોત્સવ આનંદ સાથે ઉજવાયો હતો

    શરુઆતે મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ સંતો તથા હરિભકતોએ  સમૂહ રાસની રમઝટ બોલાવી હતી. સાથે સાથે સુરેન્દ્રનગરથી આવેલ રાસમંડળીએ અદ્ભુત રાસનું દર્શન કરાવ્યું હતું.

    આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, રાસનો અર્થ થાય છે સમરસતા. ભગવાનનો રસ સર્વત્ર સમાનભાવે વર્ષે છે. રાસમાં વાજિંત્રો અલગ છે, લય સમાન છે. કંઠ અલગ છે, સૂર સમાન છે. પગ અલગ છે, તાલ સમાન છે. હાથ હજારો છે, પણ તાલી એક છે.

    સમાજ કે ધર્મના ક્ષેત્રમાં વૈવિદ્ય ભલે હોય, પરંતુ એમાં લયબદ્ધતા હશે, સમાન સૂર હશે, તાલી અને તાલ એક હશે તો રસ પ્રગટશે, આનંદ અને ઉલ્લાસ પ્રગટશે.

    ભારતીય સંસ્કૃતિના વિવિધ સંપ્રદાયો, એ મહાન આચાર્યોનો સમૃદ્ધ વારસો છે. એ વારસાનો વૈભવ માણવા જેવો છે.

    સંપ્રદાયોની વૈવિધ્યતામાં સંવાદીતતાના સૂર પ્રગટે તો સમાજમાં આનંદ અને ઉલ્લાસની વર્ષા થાય. સમાજમાં નાત-જાતના ભેદ મટી જાય, સમરસતા સર્જાય ત્યારે સાચો રાસોત્સવ કહેવાય.

    આ પ્રસંગે બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે આજે તો અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિન છે. ભગવાન જ્યારે પૃ્થ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે એકલા પધારતા નથી પણ મુક્તો સાથે પધારે છે. સહજાનંદ સ્વામી સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પણ પધાર્યા હતા.

    અંતમાં મેમનગર ગુરુકુલના ખેલૈયાઓએ મણિયારો રાસ લીધો ત્યારે હજારો હરિભકતોએ તાલિઓના નાદથી વાતાવરણ ગુંજવી દીધું હતું.

    અંતમાં દર્શનાર્થી હરિભકતોને પૌવાનો પ્રસાદ વહેચવામાં આવ્યો હતો..

આ પ્રસંગે શરદોત્સવ માણવા વી.એસ. ગઢવી સાહેબ, ઢોલરીયા સાહેબ, ગગજીભાઈ સુતરિયા (પ્રમુખશ્રી, સરદારધામ), વિપુલભાઈ ગજેરા (ટ્રસ્ટીશ્રી), ગોપાલભાઈ દવે, જગદીશભાઈ ત્રિવેદી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    આજે સંત નિવાસમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ હોવાથી મહા-અભિષેક તથા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુકુલના અધ્યક્ષ સ્વામી શાસ્ત્રી શ્રી માધવવપ્રયદાસજીની પ્રેરણાથી દર વર્ષની માફક આ વષે પણ અન્નકૂટનો તમામ પ્રસાદ ગરીબ વિસ્તારોમાં જાતે જઈને વહેંચવામાં આવ્યો હતો.

(12:24 pm IST)