Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સરસપુર : ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ ઉત્સવ થયો

૫૦૧ દિવાની મહાઆરતી થઇ : ભકિતનો માહોલ ભાજપના આઇ કે જાડેજા, મહંત દિલીપદાસજી મહારાજ, અખિલેશ્વરજી મહારાજ, ખોડિદાસ બાપુ વગેરે હાજર રહ્યા

અમદાવાદ, તા.૧૪ : શહેરના સરસપુર ખાતે આવેલા પરમકૃપાળુ જગત જનની આઈ શ્રી રાજ રાજેશ્વરી ખોડિયાર ધામ દ્વારા શ્રી ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ મહોત્સવનું આસો સુદ પૂનમના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તકુંડી યજ્ઞમાં શ્રી જગન્નાથજી મંદિરના મહામંડલેશ્વર મહંતશ્રી દિલીપદાસજી મહારાજ, ધર્માચાર્ય સ્વામી શ્રી અખિલેશ્વરજી મહારાજ, પૂજ્ય મહંતશ્રી ખોડિદાસ બાપુ (માટેલ), પૂજ્ય મહંતશ્રી ઘનશ્યામજી મહારાજ (ખેતિયા નાગદેવ), પૂજ્યશ્રી સોમાભાઈ પ્રજાપતિ (પાઘડીશેઠ, વાવોલ), પ.પૂ. મહંત લક્ષ્મણદાસજી મહારાજ (સરસપુર), પ.પૂ. શ્રી કનૈયાલ મહારાજ (આંબલીયારા), મહંતશ્રી રવિશંકરદાસજી (ગોપાલ લાલાજી મંદિર) વગેરે સંત-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તો, મુખ્ય અતિથી તરીકે શ્રી આઈ.કે. જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ૫૦૧ દિવાની મહાઆરતી કરવામાં આવી ત્યારે માંઇ ભકિતનો માહોલ છવાયો હતો.

        આ સપ્તકુંડી યજ્ઞના આચાર્યશ્રી તરીકે પ.પૂ. શાસ્ત્રી રસિકલાલ મહેતા તેમજ શાસ્ત્રી કૌશલ મહેતા હતા. શ્રી ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ પ.પૂ. શ્રી ગૌતમભાઈ તેમજ પ.પૂ. માતાજી કૈલાસબેનની આગેવાની હેઠળ યોજાયો હતો.શ્રી રા. રા. શ્રી ખોડિયાર તથા રાધાકૃષ્ણ, તીર્થેશ્વર મહાદેવ સ્થાપના મહોત્સવ તા.૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ને શનિવારે સવારથી શરૂ થયો હતો. જે દરમ્યાન શ્રી રા. રા. શ્રી બહુચર માતાનો આનંદનો ગરબો અને સતત ૧૨ કલાક અખંડ ધૂન યોજાઈ હતી. સપ્તકુંડી શક્તિ મહાયાગનો પ્રારંભ ગઇકાલે તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ સવારે ૮-૩૦ કલાકે થયો હતો. બપોરે ૧૧-૩૦ કલાકે માતાજીની શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

        તેમજ દેવ-દેવીઓની સ્થાપના બપોરે ૩-૩૦ કલાકે કરવામાં આવી હતી. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ૫૦૧ દિવાની મહાઆરતી કરવામાં આવી હતી. આ હવન કુંડના મુખ્ય યજમાન શ્રી હિતેન્દ્ર વૈદ્ય, શ્રી પ્રફુલ્લભાઈ દેસાઈ, શ્રી વિરેન્દ્રસિંહ સરવૈયા, શ્રીમતી આશાબા ઝાલા, શ્રી બાલુભાઈ પટેલ અને શ્રી ગીજુભાઈ પટેલ હતાં તેમજ યજ્ઞના દાતાઓ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી હેમંતભાઈ પટેલ, શ્રીમતિ ઈન્દુબેન ભોજક, શ્રી અશ્વિનભાઈ નાયક, શ્રી કનુભાઈ પટેલ અને શ્રી લાલજીભાઈ પ્રજાપતિ હતા. સમગ્ર મહોત્સવ દરમ્યાન માંઇભકિતના રસમાં તરબોળ થઇ શ્રધ્ધાળુઓએ ભારે ધન્યતાનો અનુભવ કર્યો હતો.

(10:33 pm IST)