Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

વિરમગામના અલીગઢ વિસ્તારમાં મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાતા સર્વેલાન્સ, ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી

કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે અને મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે : અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના અલીગઢ વિસ્તારમાં મેલેરીયા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા પંચાયત અમદાવાદ હસ્તકના મેલેરિયા શાખા વિરમગામ નગરપાલિકા અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ દ્વારા સર્વેલાન્સ, ફોગિંગ સહિતની પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. એન.વી.બી.ડી.સી.પી. અંતર્ગત સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવ્યું અને  દરમ્યાન જે ઘરોમાં શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવી જેમાં પોરા મળેલ નથી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી પગલાઓ વિશે આઇ.ઇ.સી કરવામાં આવી રહી છે.  અમદાવાદ જિલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેશ પરમાર, જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો વિરલ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કન્ટ્રોલ  પ્રોગ્રામ (એન.વી.બી.ડી.સી.પી) અંતર્ગત કામગીરી સઘન કરવામાં આવી છે. જેના લીધે અમદાવાદ જિલ્લામાં વાહનજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે સફળતા મળી છે. જોકે હાલનું વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે સૌથી સાનુકૂળ હોવાથી પોરાનાશક કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે.

 આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી, ફોગીંગ, બીટીઆઇ છંટકાવ, દવાયુક્ત મચ્છરદાની, ડ્રાય ડે, સઘન સર્વેલન્સ સહિત જનજાગૃતિ કરવામાં આવી રહી છે. ઉલ્ટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિઃશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે તેમ અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ.

(6:37 pm IST)