Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

નવરાત્રી એટલે શક્‍તિ અને આરાધનાનું પર્વ હોવાથી કળશ સ્‍થાપન, ઘીનો દીવો, ગાયત્રી મંત્રોચ્‍ચાર કરી અનુષ્‍ઠાન કરી શકાય

અનુષ્‍ઠાનમાં ઘણા લોકો 2400 અથવા 24000 મંત્રના જાપ કરતા હોય છે

અમદાવાદઃ વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રીમાંથી ચૈત્રી અને આસો નવરાત્રીની સાધના શ્રેષ્‍ઠ ગણાય છે. આસો મહિનો અનુષ્‍ઠાન માટેનો શ્રેષ્‍ઠ મહિનો છે. લોકો નવરાત્રી પર અનુષ્‍ઠાન કરી મંત્રોચ્‍ચાર કરે છે. ઘણા લોકો 2400 મંત્રના જાપ કરે છે તથા 24000 મંત્રના જાપ પણ કરી શકાય છે.

નવરાત્રિએ ભારતનો સૌથી મોટો અને સૌથી લાંબો તહેવાર છે. નવ દિવસ આ તહેવાર ચાલતો હોવાથી તેને નવરાત્રિ કહેવામાં આવે છે. નવરાત્રિ અનુષ્ઠાનમાં કયા મંત્રના જાપ કરવા છે તેની યાદી બનાવવી. કેટલાં મંત્રનો જાપ કરવું છે તે નક્કી કરીને અનુષ્ઠાનમાં બેસવું. ઘણાં લોકો 2400 તો ઘણાં લોકો 24000 મંત્રનો જાપ કરતા હોય છે. સ્વચ્છ જગ્યાએ બેસીને અનુષ્ઠાન કરવાનું હોય છે. નવરાત્રિમાં અનુષ્ઠાન પર બેસતા પહેલાં માતાજીની પૂજા-અર્ચનાની તમામ સામગ્રી લઈ તૈયારી કરવામાં આવે છે. અનુષ્ઠાન પર બેસો પછી મૂર્તિ, માળા કે આસન બદલું નહીં. કોમળ વસ્ત્રો ધારણ કરીને અનુષ્ઠાનમાં બેસવું. સ્ત્રીઓ બાંધણી પહેરીને નિયમિત સમયે પુજા અર્ચના કરવી. જ્યારે શક્ય હોય તો પુરુષોએ અનુષ્ઠાન દરમિયાન સ્વેત વસ્ત્રો ધારણ કરવા.

નવરાત્રી એટલે શક્તિ પર્વ. શક્તિની આરાધના અને શક્તિની સાધના. વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રીમાંથી ચૈત્રી અને આસો નવરાત્રી સાધના કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે. બ્રહ્મ મુહુર્તમાં મંત્ર કરવાથી નવી ઉર્જાનો સંચાર થાય છે. ગાયત્રી મંત્ર જે શ્રેઠ મંત્રોમાં ગણાય છે તેનું અનુષ્ઠાન કરવા માટે કળશ સ્થાપન કરી બાજુમાં ઘીનો દીવો કરી એમાં કપૂર પૂરી અને મંત્રોચ્ચાર કરી શકાય.

મનને તારે તેને મંત્ર કહેવામાં આવે છે. મંત્રએ મનને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. નવી ઉર્જાનો સંચાર જીવનમાં નવો ઉત્સાહ જગાડે છે. અને વ્યક્તિત્વમાં નિખાર લાવે છે. આપણને કોણ ઓળખે છે એ જાણવા કરતા આપણે પોતે આપણને કેટલું ઓળખી શક્યા છીએ એ જાણવું વધારે અગત્યનું છે. મંત્રની શક્તિ સ્વ માટેની સમજણ આપે છે. સ્વની સમજણ એટલે સ્વ માટેનો પ્રેમ. શ્વાસ પછી માનવીની જે બીજી અગત્યની જરૂરિયાત છે એ છે પ્રેમ. નવાઈ લાગે છે ને? જરા વિચારો, તમને કોઈ પ્રેમ નથી કરતુ અને તમે કોઈને પ્રેમ નથી કરી શકતા એવી સ્થિતિમાં તમે કેટલું જીવી શકશો? અહી ભૌતિક પ્રેમની વાત નથી. જ્યાં ભૌતિકતા આવે છે ત્યાં શરીર આવે છે અને પ્રેમની વ્યાખ્યા બદલાઈ જાય છે.

આજકાલ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને તેમની પ્રત્યે લાગણી રાખવાની ક્રિયા વધી રહી છે. એનું કારણ જ્યાં પ્રેમની અપેક્ષા છે ત્યાં પ્રેમ ન મળતો હોવાની વાત તો નથી ને? એક સનાતન સત્ય એ જ છે કે પ્રેમ એ માણસની જરૂરિયાત છે. શું આપણે અપેક્ષા વિહીન પ્રેમ ન કરી શકીએ? કોઈએ કહ્યું છે કે નેકી કર ઔર કુએમે ડાલ. કોઈ આપણને પ્રેમ કરે કે ન કરે આપણે તો કોઈને પ્રેમ કરી શકીએ ને? પ્રેમ કરવા માટે કોઈ વ્યક્તિની જરૂર નથી. તમે તમારા બગીચાને પણ પ્રેમ કરી શકો છો. અને જો એ પ્રેમ સાચો હશે તો તમે પાણી પીવરાવશો પણ એને કાપશો નહિ કે એ જમીનને વેચશો નહિ. પોતાના ઘર માટેના પ્રેમ માટે રાણીની ગોળ તળાવ બનાવવાની ઈચ્છાનો વિરોધ કરનાર આપણા ઇતિહાસમાં દેખાય છે. સાચો પ્રેમ ઓળઘોળ કરી દે છે. પછી અન્ય કોઈ બાબત નજરે ચડતી નથી.

જ્યાં પ્રેમ નથી ત્યાં અપેક્ષા, આકર્ષણ, જેવી બાબતો દેખાય છે અને પછી શંકા, ક્રોધ, ધ્રુણા, બદલો વિગેરે માણસને પતન તરફ લઇ જાય છે. રાજાના ઘરે જન્મેલી અને રાજરાણી બનેલી મીરાનો શ્યામ પ્રેમ એને બાવરી બનાવી શકે છે. એ જ રીતે પોતાના કામ પ્રત્યેનો પ્રેમ વ્યક્તિને એમાં ઓળઘોળ કરીને પરમાનંદ આપી શકે છે. જ્યાં અપેક્ષા આવે છે ત્યાં પ્રેમનું બાષ્પીભવન થઇ જાય છે. પ્રેમમાં માત્ર એક વિશ્વાસ છે. અને એ વિશ્વાસ જ જીવન જીવવાની શક્તિને રીચાર્જ કર્યા કરે છે. જો જીવવું છે તો પ્રેમ કરવો જરૂરી છે. અને એ પણ નિષ્કામ પ્રેમ. બસ જે કાર્ય, વસ્તુ કે વ્યક્તિને પ્રેમ કરીએ છીએ એમાં ઓતપ્રોત થઇ જવાનું અને માત્ર એને જ ધ્યેય બનાવી સ્વ ને વિસરી જવાનું. આ પણ એક આધ્યાત્મિક પ્રક્રિયા જ છે. એક અલગ પ્રકારનું અનુષ્ઠાન જે જીવનમાં ચેતનાનો સંચાર કર્યા કરે છે. કોઈ તમને આવો પ્રેમ કરે છે તો તમે નસીબદાર છો. અને કોઈ નથી કરતુ તો તમે તો એવો પ્રેમ કરી શકો છો. કારણકે નવચેતનાની જરૂર તમને છે. નવરાત્રીના અનુષ્ઠાન સાથે એક સંકલ્પ લઈએ કે સાચો નિષ્કામ પ્રેમ પણ કરીએ. થોડું વધારે જીવી લઈએ.

(5:37 pm IST)