Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મેઘરાજા મહેરબાન : નર્મદા ડેમ છલકાયો : હરખભેર વધામણા

જય જય ગરવી ગુજરાત : નમામિ દેવી નર્મદે... : લોકાર્પણ બાદ ત્રીજીવાર છલકાયો : સવારે ૫ વાગ્‍યે મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર ઉપર : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે રૂબરૂ જઇ શાષાોકત વિધિ સાથે નર્મદા નીરના કર્યા વધામણા : સમગ્ર ગુજરાત માટે આખા વર્ષની નિરાંત

નવી દિલ્‍હી તા. ૧૫ : ગુજરાત રાજ્‍ય અને ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નર્મદા ડેમ ઓવરફલો થતાં સમગ્ર ગુજરાતમાં ઉત્‍સાહનો માહોલ છવાયો છે. ગુજરાતનો જીવાદોરી સમાન આ ડેમ છલકાતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે ડેમ સાઇટ જઇ નર્મદા નીરના હરખભેર વધામણા કર્યા હતા. લોકાર્પણ બાદ ડેમ ત્રીજી વખત છલકાયો છે. હવે રાજ્‍યમાં આખુ વર્ષ પાણીની નિરાંત રહેશે. આજે સવારે ૫ વાગ્‍યે ડેમ તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટરની સપાટીએ છલકાયો હતો.

ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે.ᅠ

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ર૦૧૯ અને ર૦ર૦ પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે.

એકતાનગર ખાતે ‘નમામી દેવી નર્મદે' ના મંત્રોચ્‍ચાર સાથે આયોજિત નર્મદા મહોત્‍સવમાં મુખ્‍યમંત્રીᅠᅠભૂપેન્‍દ્રભાઈ પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીથી વધામણાં કર્યા હતા. આ વર્ષે થયેલા વ્‍યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે.

પાણીનો આ આવરો થવાથીᅠ રાજયના ગામો, નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્‍થિતિ ઊભી થશે નહીં. એટલું જ નહીં નર્મદા કમાન્‍ડ વિસ્‍તારનાᅠ બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈનાᅠ હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણીᅠ મળશે.ᅠ

આ ઉપરાંતᅠ નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્‍ધિને કારણેᅠ સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્‍ય ઉદવહન યોજનાઓ માટે હાલᅠ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે.

ગુજરાતના ૯૧૦૪ ગામો, ૧૬૯ શહેરો અને ૭ મહાનગરપાલિકા મળી રાજયની ૪ કરોડથી વધુ જનસંખ્‍યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે.ᅠ

એટલું જ નહિ, ૬૩,૪૮૩ કિલોમીટર લંબાઇના નહેરના કામો પૂર્ણ થઇ ગયા છે તેના પરિણામેᅠ કચ્‍છ સહિત રાજયના ૧૭ જિલ્લાના ૭૮ તાલુકાની ૧૬.૯૯ લાખ હેક્‍ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે.

નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતા નગરથી ૭૪૩ કિ.મીટરની યાત્રા પૂરી કરીને તાજેતરમાં જ કચ્‍છના છેક છેવાડાના વિસ્‍તાર મોડકુબા સુધી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજય સરકારના ઈજનેરી કૌશલ્‍યથી પહોંચ્‍યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ર૦૧૪માં દેશનું સુકાન સંભાળ્‍યાના માત્ર ૧૭ દિવસમાં જ આ બહુ હેતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઇ સુધી લઇ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જુના પ્રશ્નનો અંત લાવી રાજયને ઉજવળ ભાવિની દિશા આપી હતી.રાજય સરકારે પણ મંજૂરી મળ્‍યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંધ ની પૂર્ણᅠ ઊંચાઇ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતાં ૭ મહિના વહેલું પુર્ણ કરી દીધું હતું.

વડાપ્રધાનશ્રીના જ હસ્‍તે ર૦૧૭ની ૧૭મી સપ્‍ટેમ્‍બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે.ᅠ

વર્ષ ર૦૧૯માં નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા.ᅠ

ર૦ર૦માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ત્રીજીવાર ર૦રરમાં ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી જળ વધામણાં કર્યા હર્તાં.ᅠ

ᅠ ᅠ આ નર્મદા જળ વધામણાં અવસરે રાજયમંત્રી જીતુભાઈ ચૌધરી, સંસદ સભ્‍ય મનસુખભાઈ વસાવા, મુખ્‍યમંત્રીના મુખ્‍ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, મુખ્‍ય સચિવ પંકજ કુમાર તેમજ સરદાર સરોવર નિગમના એમ.ડી જે.પી.ગુપ્તા અને પદાધિકારીઓ, અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:00 pm IST)