Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રોહિત સમાજના પ્રથમ મહાસંમેલનના દિવસે જ બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શક્તિ વંદના કાર્યક્રમ: ભાજપ તારીખ બદલે :સમાજની માંગ

રોહિત સમાજના અનિલ પરમાર અને વિપુલ રાજપૂરા સહિત 25 જેટલા યુવકોએ બીજેપી મોરચાના ડો પ્રમુખ પદ્યુમન વાંજાને એક ખુલ્લો પત્ર લખ્યો;રોહિત સમાજ નારાજ હોવાનું જણાવવા સહિત અનેક આક્ષેપો કરાયા

અમદાવાદ :રોહિત સમાજના પ્રથમ મહાસંમેલનના દિવસે જ બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શક્તિ વંદના કાર્યક્રમ રાખવાને લઈને વિવાદ વકરતો જઈ રહ્યો છે. રોહિત સમાજના અનિલ પરમાર અને વિપુલ રાજપૂરા સહિત 25 જેટલા યુવકોએ બીજેપી મોરચાના ડો પ્રમુખ પદ્યુમન વાંજાને એક ખુલ્લો પત્ર લખ્યો છે, જેમાં રોહિત સમાજ નારાજ હોવાનું જણાવવા સહિત અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે.

, 25 સપ્ટેમ્બર 2022ના દિવસે રોહિત સમાજ પ્રથમ વખત પોતાનું મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે. આ રોહિત સમાજના ભગવાન રવિદાસના નેજા હેઠળ હોવાના કારણે તેમાં રાજ્યના તમામ રાજકીય પક્ષોના નેતાઓ હાજરી આપવાના હતા. જોકે, બીજેપી મોરચાના પ્રમુખ પ્રદ્યુમન વાંજા દ્વારા તે દિવસે જ અન્ય એક કાર્યક્રમ રાખી દેવાના કારણે બીજેપી નેતાઓ રોહિત સમાજના કાર્યક્રમમાં ભાગ લઈ શકે તેવું લાગી રહ્યું નથી. તેથી રોહિત સમાજ દ્વારા એવા પણ આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે, બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જાણી-જોઈને શક્તિ વંદના કાર્યક્રમ તેમના આયોજનના દિવસે જ રાખવામાં આવ્યો છે.

પ્રદ્યુમન વાંજાના જણાવ્યા અનુસાર, તેમને પોતાના કાર્યક્રમનો સમય અલગ રાખેલો છે અને રોહિત સમાજના કાર્યક્રમનો સમય અલગ છે. તેથી રાજકીય નેતાઓ બંને કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે પરંતુ પ્રદ્યુમન વાંજાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર શેર કરવામાં આવેલા એક પોસ્ટર અનુસાર તેમનો કાર્યક્રમ 11 વાગે રાખવામાં આવેલો છે, જ્યારે રોહિત સમાજનો કાર્યક્રમ સવારે દસ વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યો છે.

 

હવે રોહિત સમાજ પ્રદ્યુમન વાંજા ઉપર આરોપ લગાવી રહ્યો છે કે, અમારા કાર્યક્રમની તૈયારી પાછલા એક વર્ષથી કરવામાં આવી રહી હતી, તે અંગેની બીજેપીના રોહિત સમાજના તમામ નેતાઓને ખ્યાલ હતો. તે છતાં પણ રોહિત સમાજના કાર્યક્રમના દિવસે જ બીજેપીનો કાર્યક્રમ રાખીને શું સંદેશ આપવામાં આવી રહ્યો છે? 

હવે રોહિત સમાજના 25થી વધારે યુવાઓએ ડોક્ટર પ્રદ્યુમનને પત્ર લખીને તેમની ભૂલ સુધારવા માટે માંગણી કરી છે. યુવાઓ દ્વારા પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે, તમે રોહિત સમાજનું બીજેપીમાં પ્રતિનિધિત્વ કરતાં હોવા છતાં સમાજના જ કાર્યક્રમના દિવસે બીજો કાર્યક્રમ રાખી દીધો તેના કારણે સમાજના લોકો દુ:ખી છે. આ સાથે જ યુવાઓએ બીજેપીના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યક્રમની તારીખ બદલવાની પણ માંગણી કરી છે. 

યુવાઓ દ્વારા પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે- “આપ શ્રી વણકર, રોહિત, વાલ્મિકી, નાડિયા, શેનમા, મેઘવાલ, તુરી જેવી અસંખ્યા અનુસૂચિત જાતિઓનું ભાજપમાં નેતૃત્વ કરી રહ્યાં છો. તે છતાં દુ:ખી હ્રદયે આપને જણાવવાનું કે આપની અધ્યક્ષતામાં 25 સપ્ટેમ્બરના રોજ રોહિત મહાસંમેલનની સામે જ અને તે સમય-સ્થળે ભાજપ અનુસૂચિત મોરચાનું પણ સંમેલન આપ શ્રીની અધ્યક્ષતામાં રાખેલ છે. તેનાથી સમગ્ર રોહિત સમાજના લોકો દુ:ખી છે. સમાજહિત માટે આપશ્રીએ આપના કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવો જોઈએ તેવી સમાજની લાગણી છે

(9:15 pm IST)