Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સ્વાઈન ફ્લુથી ગુજરાતમાં હજુ સુધી ૯ લોકોના મોત

ભારતમાં સ્વાઈન ફ્લુથી ૨૩૭ લોકોના મોત થયા : સ્વાઈન ફ્લુ થવાની સ્થિતિમાં સમયસર સારવાર ખૂબ જરૂરી : સિવિલ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થાઓ કરાઈ

અમદાવાદ, તા.૧૫ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે આ વર્ષે હજુ સુધી નવ લોકોના મોત થઈ ગયા છે અને ૧૨૭ કેસો સપાટી ઉપર આવ્યા છે. સ્વાઈન ફ્લુ અથવા તો એચવનએનવન રોગના કેસોના કારણે આ વર્ષે અમદાવાદમાં પણ હજુ સુધી સપ્ટેમ્બર મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ચાર લોકોના મોત થયા છે. હોસ્પિટલ સત્તાવાળાઓનું કહેવું છે કે આને લઈને દહેશતમાં રહેવાની ચિંતા નથી પરંતુ તેમના દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. સમયસર સારવાર લેવામાં આવે તે જરૂરી છે. પ્રાયમરી હેલ્થ સેન્ટરોને પણ જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોને પણ જરૂરી સલાહ આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય સત્તાવાળાઓના કહેવા મુજબ ૨૦૧૮માં ભારતમાં હજુ સુધી સ્વાઈન ફ્લુથી ૨૩૭ લોકોના મોત થયા છે અને ૨૨૮૭ જેટલા દર્દીઓ નોંધાયા છે. ગુજરાતમાં નવ લોકોના મોત થયા છે અને ૧૩૭ દર્દીઓ નોંધાયા છે. આરોગ્ય સંભાળની સુવિધા પુરતા પ્રમાણમાં નહીં હોવાના લીધે આ લોકોના મોત થયા છે. ઓછી સુવિધા ધરાવનાર કેન્દ્રોમાં દર્દીઓને ખસેડવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં અરવલી અને મહિસાગર જિલ્લામાંથી તથા પૂર્વીય અમદાવાદના જુદા જુદા ભાગોમાંથી વધુ સંખ્યામાં દર્દીઓને ખસેડવામાં આવ્યા છે. સ્વાઈન ફ્લુના લક્ષણોને વહેલીતકે જાણી શકાય છે. યોગ્ય રીતે સારવાર લેવામાં આવે તે મહત્વપૂર્ણ છે. સ્વાઈન ફ્લુના રોગને સરળતાથી દુર કરી શકાય છે. આમાં હાઈ રિકવરી રેટ રહેલો છે. બીજે મેડિકલ કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસીનના હેડ અને પ્રોફેસર કમલેશ ઉપાધ્યાયનું કહેવું છે કે સ્વાઈન ફ્લુના રોગને સરળતાથી રોકી શકાય છે.

(8:22 pm IST)