Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

વડોદરામાં કોરોનાના કારણે અનેક લોકો આર્થિક રીતે તૂટી ગયાઃ ઘરનો મોભી ગણાતો પુરૂષ હવે ઘરેલુ અત્યાચારનો ભોગ બનવા લાવ્યોઃ વકિલો પાસે અનેક કિસ્સાથી આઘાત

વડોદરા: કોરોનાના કારણે અનેક લોકો આર્થિક રીતે તૂટી ગયા છે એતો સૌ કોઈ જાણતા હશે પરંતુ આવક ન હોવાના કારણે અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા છે એ વર્વી વાસ્તવિકતા છે.

સામાન્ય નાગરિકે ક્યારેય સપનામાં પણ વિચાર નહીં કર્યો હોય કે એવી કોઈ બીમારી આફત સ્વરૂપે આવશે કે જેમાં આવકની સાથેસાથે સ્વજનો પણ ગુમાવવાનો વારો આવશે. કોરોના મહામારીમાં અનેક પરિવારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. ત્યારે હવે ઘરનો મોભી ગણાતો પુરુષ હવે ઘરેલુ અત્યાચારનો ભોગ બની રહ્યા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, પુરુષ બેરોજગાર થવાના કારણે પત્નીઓ દ્વારા તેમના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે જેના કારણે છુટ્ટાછેડાના કેસના પ્રમાણમાં વધારો થયો છે. પત્નીઓ દ્વારા બેરોજગાર પતિને શારીરિક ત્રાસ આપવા સહિત મેણાટોણા મારી માનસિક ત્રાસ આપવાના કિસ્સામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે.

જાણીતા વકીલ તેમજ ફેમેલી લોના નિષ્ણાત એડવોકેટ નિસર્ગ જૈનના જણાવ્યા અનુસાર કોરોના અગાઉ ફેમેલી કોર્ટમાં દામ્પત્યજીવનમાં વિખવાદના ગણ્યાગાંઠ્યા કિસ્સા આવતા હતા પરંતુ હવે રોજેરોજ મોટા પ્રમાણમાં છુટ્ટાછેડાના કેસ ફાઈલ થઈ રહ્યા છે જેનું મુખ્ય કારણ પતિની બેરોજગારી છે.

એક કિસ્સામાં તો સામાન્ય ટીવી ચેનલ જોવા બાબતે પતિ પત્ની અલગ થઈ ગયા. પત્નીને સિરિયલ જોવી હતી અને પતિને ન્યુઝ ચેનલ. પત્નીને મરજી મુજબની ચેનલ જોવા ન મળતા તે પોતાના માતાપિતાના ઘરે નીકળી ગઈ અને બાદમાં કોર્ટમાં છુટ્ટાછેડાનો કેસ ફાઈલ કરી દીધો અને કહ્યું જે ઘરમાં મને ટીવી ચેનલ મારી મરજી મુજબ જોવા ન મળે એવા ઘરમાં રહીને શુ મતલબ?

તો વળી કેટલાક કિસ્સામાં તો બેરોજગાર પતિ-પત્ની લાંબો સમય એક બીજા સાથે રહીને કંટાળી ગયા હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું. સામાન્ય રીતે પતિ આખો દિવસ કામ પર હોય અને સાંજે પત્નીને મળે ત્યારે બંને એક બીજા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરતા હોય પરંતુ જ્યારે નોકરી ગુમાવનાર પતિ ઘરે પત્નીની નજર સામે બેઠો રહે ત્યારે બંને લાંબો સમય સાથે રહેવાના કારણે એક બીજાના ચેહરો જોવો પણ પસંદ કરતાં નથી.

કોરોનામાં રોજગારી ગુમાવનાર પતિને આ પ્રકારે ઘરેલુ હિંસાનો ભોગ બનવું પડે એ વાત સૌ કોઈને વિચારવા મજબૂર કરે પરંતુ આ પ્રકારના કિસ્સામાં અચાનક વધારો થવો એ આપણા સમાજ માટે અત્યંત ગંભીર તેમજ ચિંતાજનક બાબત કહી શકાય. ત્યારે જીવન ભર સુખ દુઃખમાં એક બીજાનો સાથ આપવાનું વચન આપનાર દંપત્તિએ કોર્ટ કચેરી કરી દાંપત્યજીવનનો અંત લાવવો એના કરતાં સુખદ સમાધાન આવે તેવા પ્રયાસો કરવા અનિવાર્ય છે. જેથી તેમના નાના બાળકોને પણ આમતેમ ભટકવાનો વારો ન આવે.

(4:26 pm IST)