Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ત્રણ દિકરીએ પિતાને કાંધ આપી અને પછી સ્મશાનમાં જઇને અગ્નિદાહ આપ્યો તથા અંતિમવિધિ પણ કરી

ભાઇની ગેરહાજરીમાં અમદાવાદમાં બની હૃદયસ્પર્શી ઘટનાઃ પિતાએ કર્યું ચક્ષુદાન

અમદાવાદ તા.૧૫: ગઇકાલે અમદાવાદમાં હૃદયસ્પર્શી ઘટના બની હતી જેમાં ભાઇની ગેરહાજરીમાં બહેનોએ પિતાને કાંધ આપી હતી અને પછી સ્મશાનમાં જઇને અગ્નિદાહ પણ આપ્યો હતો.

અમદાવાદમાં રહેતા ૭૭ વર્ષના પ્રવીણચંદ્ર પંચાલનું ગઇકાલે બપોરે અચાનક મૃત્યુ થયું હતું. પરિવારના મોભીના અચાનક થયેલા અવસાનથી પરિવાર હતપ્રભ થઇ ગયો હતો. એમાં પણ પ્રવીણચંદ્ર પંચાલનો દીકરો હિમાંશુ વિદેશ હોવાથી પરિવારજનો આઘાતમાં સરી પડયા હતા. જો કે આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ ત્રણ દીકરીઓ પેરીષા મિસ્ત્રી, ગ્રિષ્મા ત્રિવેદી અને નિમિષા પંચાલે પિતાના મૃત્યુના આઘાત વચ્ચે પણ સ્વસ્થતા કેળવીને તેમના દેહને કાંધ આપવાનું તેમજ સ્મશાનમાં જઇને અંતિમવિધિ કરવાનો અને અગ્નિદાહ આપવાનો નિર્ણય કર્યો હતો. ત્રણેય દીકરીઓએ સગાંસ્નેહીઓની સાથે પિતાની અંતિમયાત્રામાં નનામીને કાંધ આપી હતી અને સ્મશાનમાં ગઇ હતી. ત્યાં પિતાની અંતિમવિધિ કરી હતી અને ત્યારબાદ અગ્નિદાહ પણ આપ્યો હતો.

પ્રવીણચંદ્ર પંચાલે મૃત્યુ બાદ તેમનાં ચક્ષુઓનું દાન કર્યું હતું.(૧.૧)

 

(9:56 am IST)