Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

સુરતની પાંડેસરા કૈલાશ ચોકડી નજીક અજાણ્યા યુવાનની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: પાંડેસરા કૈલાશ ચોકડી નજીક ફૂટપાથ પરથી અજાણ્યા યુવાન ગળા, છાતી અને પેટમા ભાગે ચપ્પુથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જયાં તેને મૃત જાહેર કરવામાં આવતા પાંડોસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગત સાંજે સાડા સાત વાગ્યાના અરસામા પાંડેસરા કૈલાશ ચોકડીથી ગાંધી કુટીર તરફ જવાના રોડ પર ફૂટપાથ પરથી અજાણ્યો યુવાન ગળા, પેટ અને છાતીમાં ચપ્પુના ઘા ઝીંકેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને ગંભીર હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત પર શસ્રક્રિયા હાથ ધરવામાં આવે તો પહેલા તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ તુરંત દોડી ગઇ હતી અને હત્યાનો ગુનો નોંધ્યો હતો.

પોલીસે મૃતકની ઓળખ માટે કૈલાશ ચોકડીથી ગાંધી કુટીર જવાના રોડ પર તપાસ કરી હતી. પરંતુ હજી સુધી ઓળખ થઇ નથી. ઉલ્લેખનીય છે કે મૃતકના જમણા હાથ પર સુનીલ નામનું અને બાવડા ઉપર અંગ્રેજીમાં એસ. એમ નું છુંદણ છે. પોલીસે હાલમાં છુંદણ અને સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે મૃતકની ઓળખ મેળવવા અને હત્યારનું પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(5:25 pm IST)