News of Monday, 14th September 2020
અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા આજે સતત આઠમા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ ચાલુ રાખ્યું હતું. આજના દિવસે 1580 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 17 કેસો પોઝિટિવ મળી આવ્યા હતા. જેમા સૌથી વધુ રાજધાની એક્સપ્રેસમાં આવેલા 15 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આ 17 કોરોના પોઝિટિવ કેસોમાંથી 10 દર્દીને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા હતા. જયારે 7 દર્દીઓને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન રા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતિત થતો હતો. બીજીતરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી.
જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. આજે એટલે સોમવારે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 814 મુસાફરોનું અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 15 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 395 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી એક પણ કેસ મળ્યો ન હતો.
તે જ રીતે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 371 પ્રવાસીઓની ચકાસણીમાં 2 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે આજે કુલ 1580 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 17 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.