Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

યાત્રાધામ અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ટ્રક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત:ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અંબાજી:યાત્રાધામ અંબાજીદાંતા હાઈવે માર્ગ ઉપર ગતરાત્રિના ૧૧ વાગ્યાની આસપાસ અંબાજીથી માર્બલના ખંડા ભરીને જઈ રહેલ એક ટ્રક અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા પલટી જવા પામી હતી.

પ્રાપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારના રોજ અંબાજીથી માર્બલના ખંડા ભરીને જતી ટ્રક ત્રિશુળીયા ઘાટ પરથી ઉતરતી વખતે અચાનક ટ્રક ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી જવા પામી હતી. જ્યારે ટ્રક ચાલક ગંભીરપણે ઘાયલ થતાં ૧૦૮ વાન દ્વારા દાંતા રેફરલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપી વધુ ઈજાગ્રસ્ત હોઈ પાલનપુર લઈ જવા જણાવ્યું હતું. જેથી તેઓને પાલનપુર લઈ જવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિશુળીયા ઘાટના વળાંકની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલતી હોઈ ડાયવર્ઝન આપવામાં આવેલ છે. પરંતુ વધુ વરસાદ થવાના કારણે માટી ધોવાઈ જવા પામી છે. જેથી વાહનચાલકો માટે રસ્તો જોખમી બની જવા પામ્યો છે. જેના કારણે છેલ્લા ૨૦ દિવસ દરમિયાન ત્રીજો બનાવ બનતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

(6:05 pm IST)