Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર માટે ૧.૯૦ કરોડની જોગવાઈ

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની માંગણી બહુમતિથી મંજુર : ભૂકંપની આગોતરી જાણકારી મેળવવા જીપીએસ નેટવર્ક અપગ્રેડ કરવા ૫૦ લાખ, સાયન્સ સિટી માટે સાત કરોડ

અમદાવાદ,તા.૧૩  : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે વિધાનસભા ગૃહમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગની માંગણીઓ રજૂ કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં કુલ ૪૯૭ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ પૈકી વિજ્ઞાનને વધુ પ્રોત્સાહિત કરવા માટે નવી બાબતો અંતર્ગત ૧૩.૫૦ કરોડની ખાસ જોગવાઇ કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં આજે વિજ્ઞાન  અને પ્રૌદ્યોગિકી વિભાગની માંગણીઓ બહુમતીથી મંજૂર કરવામાં આવી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજીનો યોગ્ય વિકાસ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમના લક્ષ્યાંક સુધી લઈ જવાનો માર્ગ કંડારશે તેમ જણાવતા મંત્રીએ કહ્યું હતું કે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રને વધુ પ્રોત્સાહિત કરવા આગામી વર્ષ ૨૦૨૦-૨૧માં નવી બાબતો માટે કુલ ૧૩.૫૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર, નાસકોમ અને ગુજરાત સરકારના સહયોગથી આઈઆઈટી ગાંધીનગર ખાતે નવા સેન્ટર ફોર એકસેલન્સની રૂપિયા ૩ કરોડના ખર્ચે સ્થાપના કરવામાં આવશે.

              ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ભવનના બાંધકામ માટે રૂપિયા ૧.૯૦ કરોડ તેમજ બાયોટેકનોલોજી ક્ષેત્રે વધુ સંશોધનને વેગ આપવા લેબોરેટરીને અદ્યતન બનાવવા કુલ રૂપિયા ૬.૬૫ કરોડના ખર્ચ પૈકી આ વર્ષે રૂપિયા ૫૦ લાખની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત સાયન્સ સીટીમાં પ્રથમ તબક્કાના કામો જેવા કે આઈમેક્સ, થ્રીડી થિયેટર, પ્લેનેટ અર્થ વગેરેના સમારકામ માટે કુલ રૂપિયા ૫૦ કરોડના ખર્ચ પૈકી આ બજેટમાં રૂપિયા ૭ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં ભૂકંપની આગોતરી જાણકારી માટે જીપીએસ નેટવર્કને અપગ્રેડ કરવા કુલ ૪.૫૦ કરોડના આયોજનમાંથી ૫૦ લાખની જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમના નિભાવ માટે મહેકમ પાછળ કુલ રૂપિયા ૧ કરોડના આયોજનમાંથી રૂપિયા ૫૦ લાખ ફાળવવામાં આવ્યા છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ. મંત્રીએ રાજ્યના આગામી લક્ષ્યાંકોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, ૧૫ વર્ષની જરૂરિયાતને ધ્યાને લઈ સ્ટેટ ડેટા સેન્ટ૨નું નવું મકાન બનાવવા ૧૫ કરોડની જોગવાઈ કરેલ છે અને તે હેતું માટે ૩૦૦૦ ચો. મી. જમીન પણ ફાળવવામાં આવી છે. રાજયના ૭૫૨૨ ગામડાઓને ભારતનેટ હેઠળ કનેકટ કરી, ગામની પાંચ જેટલી કચેરીઓ જેવી કે આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેંદ્ર, સામુહિક આરોગ્ય કેંદ્ર, પ્રાથમિક શાળા, સસ્તા અનાજની દુકાનને જીસ્વાન અંતર્ગત આવરી લેવાશે.

ડિજિટલ સેવાસેતુના ભાગરૂપે ગ્રામ્ય કક્ષાએ રેશનકાર્ડ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, આવકના દાખલા, વિધવા સહાય, હંગામી આવાસ પ્રમાણપત્ર વગેરે મળે તેવી કામગીરીનો પાંચ જિલ્લાના ૨૦ ગામોમાં પાયલોટ પ્રોજેકટ તરીકે પ્રારંભ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. બાયોટેકનોલોજી ક્ષેત્રે કુશળ માનવબળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શાહપુર, ગાંધીનગર ખાતે આંત૨રાષ્ટ્રીય કક્ષાની ગુજરાત બાયો ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપનાનું કામ હાલમાં પ્રગતિમાં છે.

(9:29 pm IST)