Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

પહેલાં નોરતાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી ફરીવાર ખુલ્લું મુકાશે

કોરોના મહામારીના લીધે પ્રવાસન સ્થળ બંધ હતું : કેવડીયા ખાતે આવેલા મુખ્ય પ્રવાસન સ્થળોે પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાતાં પ્રવાસીઓ તરફથી પ્રતિસાદ મળ્યો

નર્મદા,તા.૧૩ : કોવિડ-૧૯ અંતર્ગત  સરકારનીઅનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય લેવાયેલ છે. આ નિર્ણયના ભાગરૂપે કેવડીયા ખાતે આવેલા મુખ્ય પ્રવાસન સ્થળો જેવાં કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ, વિગેરે તાજેતરમાં પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાતાં પ્રવાસીઓ તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. જે જોતાંરાજ્ય સરકારે હવેપ્રવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં તે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને તા. ૧૭ ઓક્ટોબર શનિવારથીએટલે કે પહેલાં નોરતાથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. આ માટે પ્રવાસીઓની સલામતિની પૂરતી કાળજી લેવા કોવિડ-૧૯ ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.

        સોશિયલ ડિસ્ટન્સીંગની ચુસ્ત જાળવણી માટે પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત રાખવાનું જરૂરી બનેલ હોવાથી દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓની મર્યાદામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે. જે પૈકી માત્ર  ૫૦૦ પ્રવાસીઓને ૧૯૩ મીટરના લેવલ પર આવેલ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ  અધિકૃત ટીકીટીંગ વેબસાઇટ soutickets.in ઉપરથી મળી શકશે. પ્રવાસીઓને તેમણે જે બે કલાકના સ્લોટની ટીકીટ ખરીદેલ હોય તે જ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીઓને કેવડીયા ખાતે કોઈપણ ટીકીટ બારી પરથી રૂબરૂમાં ટીકીટ ઈસ્યુ કરવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. કોવીડ પ્રોટોકોલના ચુસ્ત પાલન અંતર્ગત દરેક પ્રવાસીએ માસ્ક પહેરેલ હોવું ફરજિયાત છે. તેમજ સ્ટેચ્યુ પરિસરમાં વ્યક્તિઓને ઉભા રહેવા માટે નિર્દિષ્ટ જગ્યાઓ ઉપર જ અનુશાસિત રીતે ઉભા રહેવાનું રહેશે. પ્રવેશ સમયે થર્મલ સ્ક્રીનીંગ અને સેનીટાઈઝેશન ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ સ્ટેચ્યુ પરિસરમાં વિવિધ સ્થળોએ પ્રવેશની જગ્યાઓ ઉપર સેનીટાઈઝર મશીનો મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસીઓ માટેની ખાસ બસોમાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.આ તમામ વ્યવસ્થા પ્રવાસીઓને કોરોના સંક્રમણથી બચાવવા માટે જ કરવામાં આવેલ છે જેમાં સહયોગ આપવા આવનાર પ્રવાસીઓને વિનંતી કરવામાં આવે છે.

કુલ પાંચ સ્લોટ..........

સવારે - ૮ થી ૧૦,૧૦ થી ૧૨

બપોરે - ૧૨ થી ૨,૨ થી ૪

સાંજે -  ૪ થી ૬

પ્રત્યેક સ્લોટમાં - ૫૦૦ પ્રવાસીને પ્રવેશ.એન્ટ્રી ટિકિટ - ૪૦૦( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી

વ્યુઇંગ ગેલેરી - ૧૦૦ પ્રવાસી

સમગ્ર દિવસમાં - ૨૦૦૦ એન્ટ્રી ટિકિટ( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી અને ૫૦૦ વ્યુઇંગ ગેલેરી પ્રવાસી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટિકિટના દર જે પહેલા હતા હાલ પણ એજ છે.

(9:21 pm IST)