Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરના ભાવ ઘટતાં રાજ્યના પશુપાલકોની મદદ માટે દૂધ સંઘોને આ પાવડરની નિકાસ માટે સહાય અપાશે : નીતિનભાઇ પટેલ

દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો દીઠ રૂ.૫૦ ની સહાય અપાશે :રાજ્ય સરકાર પશુપાલકો વતી રૂ. ૧૫૦ કરોડનું ભારણ ઉપાડશે: દૂધ સંઘોએ રોકાણ નહી કરવું પડે જેનો સીધો લાભ પશુપાલકોને થશે

 અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના ખેડૂતો-પશુપાલકોના હિતને વરેલી રાજ્ય સરકારે રાજ્યના પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો રૂ.૫૦ ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સ્કીમ મિલ્ક પાવડર (દૂધનો પાવડર) ના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરની નિકાસ ઘટી છે રાજ્યના સહકારી દૂધ સંઘો પાસે હાલ અંદાજે રૂ. ૧૮૫૦ કરોડની કિંમતનો ૯૦,૦૦૦ મેટ્રીક ટન દૂધ પાવડરનો જથ્થાનો ભરાવો થયો છે. અને દૂધ સંઘોની મોટા પ્રમાણમાં મૂડી રોકાઇ ગઇ છે અને તેના પર વ્યાજનું ભારણ વધી રહ્યું છે. અને આનું સીધુ નુકશાન દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોને થાય છે. પશુપાલકો અને જિલ્લા સંઘોને થતું આ નુકશાન અટકાવવા માટે દૂધના પાવડરની નિકાસ થાય તે જરૂરી છે.
  તેમણે ઉમેર્યુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દૂધના પાવડર કરતાં અન્ય દેશોના દૂધનો પાવડર સસ્તા ભાવે વેચાઇ રહ્યો છે જેથી આપણા દૂધના પાવડરની નિકાસ કરવી હોય તો નીચા ભાવે દૂધનો પાવડર વેચવો પડે અને જો દૂધ સંઘો નીચા ભાવે દૂધના પાવડરની નિકાસ કરે તો ખૂબ મોટું આર્થિક નુકશાન કરવુ પડે તેમ છે. જે દૂધ સંઘો ઉપાડી શકે તેમ નથી તેને ધ્યાને લઇ અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઇ પટેલ, વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલ, એમ.ડી.આર.એસ.સોઢી અને જિલ્લાના અન્ય દૂધ સંઘોના ચેરમેનઓએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીને દૂધના પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર સહાય આપે તેવી રજુઆત કરી હતી. તેને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, તા.૦૧.૧૧.૨૦૨૦ થી છ મહિના સુધી અમૂલ દ્વારા જેટલા દૂધના પાવડરની નિકાસ કરવામાં આવશે તે પાવડર પર પ્રતિ કિલો ૫૦ રૂપિયા રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે અને રૂ.૧૫૦ કરોડની મર્યાદામાં રાજ્ય સરકાર આ સહાય દૂધ સંઘોને આપશે જેના કારણે લગભગ ૫૦ હજાર મેટ્રીક ટનથી વધુ દૂધના પાવડરની નિકાસ થઇ શકશે જેથી દૂધના પાવડરના સ્ટોકમાં ઘટાડો થતા દૂધની ડેરીની રકમ છૂટી થશે અને વ્યાજનું ભારણ ઘટશે અને દૂધ સંઘોની આવક વધશે.
  નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતના પશુપાલકોને દૂધના પ્રતિ લિટર ૮ થી ૧૦ રૂપિયા વધુ ભાવ મળે જ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી પ્રવર્તતા રાજ્ય સરકારની આ સમયસર મદદ મળતાં દૂધના ભાવો ઘટાડવા નહી પડે જેનો સીધો લાભ ૩૬ લાખ પશુપાલક પરિવારોને થશે.
  તેમણે ઉમેર્યુ કે, ગત વર્ષે પશુપાલકોને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય કર્યો હતો. ગત વર્ષે દૂધના પાવડરના ૧ કિલોનો ભાવ રૂ. ૧૪૦ હતો જે રૂ. ૩૦૦ થઇ જતાં સમગ્ર દેશના લાખો પશુપાલકોને ફાયદો થયો હતો. અંદાજે ૧૦ લીટર દૂધમાંથી ૧ કિલો પાવડર બને છે એટલે ૯૦,૦૦૦ ટન જેટલો સ્ટોક દૂધસંઘો પાસે છે. હાલ પાવડરનો પડતર ભાવ રૂ. ૨૫૦ થી રૂ. ૨૬૦ છે અને બજાર ભાવ રૂ. ૧૬૦ થી રૂ. ૧૭૦ છે.  
  નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યુ કે, રાજ્યના સહકારી સંઘો પાસે ઉપલબ્ધ વધારાના સ્કીમ મિલ્ક પાવડરના જથ્થામાંથી ૫૦ હજાર મેટ્રીક ટન પાવડર પર કિલોદીઠ રૂ. ૫૦ ની સહાય ૬ માસના સમયગાળા માટે અપાશે. આ સહાય રૂ. ૧૫૦ કરોડની મર્યાદામાં આપવામાં આવશે.

 
(10:22 pm IST)