Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

અમદાવાદમાં કોરોના હાંફ્યો : માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તારોની ઘટતી સંખ્યા : :24 વિસ્તારો દૂર કરાયા : માત્ર 5 ઉમેરાયા

ગોતાના સાયન્સ સીટી પાસેના સન હેરિટેજ ફલેટમાં 32 મકાનોના 110 રહીશો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયા

અમદાવાદ : રાજ્યમાં કોરોના કેસોનો આંકડો ઘટયો છે.આજે 1169 કેસો નોંધાયા છે. તેની સામે અમદાવાદમાં કેસોનો આંકડો 166 પર પહોંચ્યો છે. તે જ રીતે અમદાવાદમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોનો ગ્રાફ તો એકદમ નીચે જવા પામ્યો છે. આજે માત્ર પાંચ જ વિસ્તારો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયા છે. છેલ્લાં કેટલાંક દિવસો બાદ આ એકદમ ઘટાડો નોંધાયો છે. પાંચ વિસ્તારોમાંથી ત્રણ વિસ્તારો પશ્ચિમ તથા બે વિસ્તારો દક્ષિણ ઝોનના જ છે. તેમાં ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનનો એક એક વિસ્તારનો સમાવેશ થાય છે. જયારે દક્ષિણ ઝોનના બે વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ખોખરા, લાંભા, જીવરાજપાર્ક, ગોતા અને નારણપુરા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં મૂકાયા છે. તબક્કાવાર માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોની સંખ્યા ઘટતી જાય છે. આ આંકડો આજે છેક 135 પર પહોંચ્યો છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 154 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તૃત ચર્ચા વિચારણાંના અંતે 24 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 5 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 154 વિસ્તારોમાંથી 24 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 130 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 5 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 135 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં 2 વિસ્તારો માત્ર પશ્ચિમ વિસ્તારના છે. જેમાં ખોખરા, નારણપુરા, લાંભા તેમ જ જીવરાજ પાર્ક વિસ્તારોનો સમાવેશ થાય છે. ગોતાના સાયન્સ સીટી પાસેના સન હેરિટેજ ફલેટમાં 32 મકાનોના 110 રહીશો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયા છે. જયારે બીજા સ્થળોએ 70થી 80 રહીશો માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકાયાં છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આવતીકાલે 12મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.

(10:59 pm IST)