Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

અમદાવાદમાં લૂટેરો વરરાજો સક્રિય, ૪.૫૦ લાખ પડાવ્યા

લૂંટેરી દુલ્હન બાદ વરરાજાના કિસ્સાએ ચર્ચા જગાવી : સેટેલાઇટમાં પીજી ચલાવતી મહિલા સાથે સંબંધ બનાવી લગ્ન કર્યા અને રુપિયા લઈને યુવક ફરાર થઈ ગયો

અમદાવાદ,તા.૧૩ : મોટાભાગે અત્યાર સુધી આપણે લૂટરી દુલ્હનના કિસ્સા સાંભળતા આવ્યા છીએ. લગ્ન પછી થોડા સમયમાં આવી દુલ્હન મોકો મળતા ઘરમાંથી હાથ સાફ કરીને ફરાર થઈ જતી હોય છે. પરંતુ હવે અમદાવાદમાં સામે આવેલા લૂટેરા વરરાજના કિસ્સાએ પોલીસ અને તમામને ચોંકાવ્યા છે. સામાન્ય રીતે લૂંટેરી દુલ્હન લગ્ન કર્યા બાદ થોડા દિવસોમાં ઘરમાંથી દાગીના અને રૂપિયા લઈને જતી રહી હોવાની અનેક ફરિયાદ દાખલ થઈ છે. જો કે સેટેલાઈટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીએ પહેલા મહિલાને પ્રેમ જાળમાં ફસાવી અને બાદમાં તેની સાથે લગ્ન કરી જરૂરિયાતનું નાટક કરીને રૂપિયા લઈ છૂમંતર થઈ ગયો. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેના અગાઉના પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે સેટેલાઈટ ખાતે વર્ષ ૨૦૦૮થી પીજીમાં રહેવા માટે આવી હતી. અને ઘરકામ કરીને ગુજરાત ચલાવતી હતી. જોકે આ દરમિયાન તેનો સંપર્ક પ્રભજોત સિંઘ સાથે થયો હતો. ત્રણેક મહિના સુધી વાતચીત કર્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આરોપી પ્રભજોત સિંઘ એ મહિલાને પોતે કુવારો હોવાંનુ જણાવીને તેની સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી હતી. જો કે મહિલાએ તેંનો ભૂતકાળ આરોપીને જણાવ્યો હતો. જોકે બંને લગ્ન કરવા માટે સહમત થતા જૂન ૨૦૧૫માં આર્ય સમાજમાં તેઓએ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ પણ આરોપી મહિલાને તેના ઘરે લઈને ગયો હતો અને પીજીમાં રાખતો હતો. જો કે મહિલાએ તેને ઘરમાં લઈ જવા માટેની જીદ કરતા આરોપીએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું હતું.

      જેથી મહિલાએ તેની બચતના રૂપિયા ૩૫ હજાર આપતા તેઓ મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા હતા. જ્યાં દોઢેક માસ જેટલો સમય તેઓ રહ્યા હતા પરંતુ આરોપી મહિલા ને ઘર ખર્ચના રૂપિયા આપતો ન હતો. એટલું જ નહીં મહિલાના પૈસે તે મોજશોખ કરતો હતો જો મહિલા કઈ બોલે તો તેની સાથે મારઝૂડ પણ કરતો હતો અને મહિલાને છોડી દેવાની ધમકી આપતો હતો. આરોપી તેના વતન પંજાબમાં રૂપિયાની જરૂર હોવાનું કહીને મહિલાને મદદ કરવા માટે જણાવતા મહિલાએ તેના દાગીના ગીરવે મૂકીને રૂપિયા ચાર લાખ આપતા આરોપી તે લઈને જતો રહ્યો હતો. બાદમાં પરતના ફરતા મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ દાખલ કરવી હતી. મહિલાને જાણ થઈ હતી કે તેનો પતિ પંકજ પોતાની સાથે લગ્ન સંબંધે બંધાયેલો હોવા છતાં જલંધરમાં કોઈ યુવતી સાથે લીવ ઈનમાં રહે છે અને બંને લગ્ન કરી રહ્યા છે.

(7:58 pm IST)