Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ધંધા-ઉદ્યોગ ક્ષેત્રના પુર્નગઠનની ભલામણ સુચવવા સમિતિ

રાજ્યમાં આર્થિક ગતિવિધિ પૂર્વવત કરવા નિર્ણય : સમિતિ સર્વગ્રાહી તલસ્પર્શી કાર્યયોજના એક્શન પ્લાન સાથેનો ભલામણ અહેવાલ એક માસમાં સરકારને સોંપશે

અમદાવાદ,તા.૧૩ :  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. મુખ્યમંત્રીએ આ સમિતીના અધ્યક્ષપદે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની નિમૂણંક કરી છે. ૬ સભ્યોની આ સમિતીમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે. વિજય રૂપાણીએ આ સમિતીમાં આઈઆઈએમ અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદિપ શાહ, પૂર્વ આઇએએસ અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે જીઆઈડીસીના એમડી એમ થેન્નારસનની નિયુકતી કરી છે. પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-૧૯ની આ વૈશ્વિક મહામારી સામે ગુજરાતે મુખ્યમંત્રી  વિજય રૂપાણીના નેતૃત્વમાં અન્ન સુરક્ષા, આરોગ્ય રક્ષા અને અન્ય ક્ષેત્રોમાં શ્રેણીબદ્ધ પ્રોત્સાહક પગલાંઓ લીધા છે. ગુજરાત દેશના અર્થતંત્ર અને ઔદ્યોગિક ગતિવિધિનું એક મહત્વપૂર્ણ રાજ્ય તથા મેન્યૂફેકચરીંગ હબ છે ત્યારે કોવિડ-૧૯ની આ મહામારીને પરિણામે રાજ્યની એ ગતિવિધિઓને વ્યાપક અસર પહોંચી છે.

             આ મહામારીના સંકટથી રાજ્યના અર્થતંત્રની ડિમાન્ડ અને સપ્લાય ચેઇનને પણ વિપરીત અસર પડી છે. એટલું જ નહિ, સ્જીસ્ઈ સેકટર સહિતના અન્ય ક્ષેત્રો પણ આ અસરનો ભોગ બનેલા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બધી જ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્થિતીને ધ્યાને લઇને અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓની સુધારણા માટેની ભલામણો સુચવવા આ ઉચ્ચસ્તરિય સમિતી રચવાનો નિર્ણય કર્યો છે. ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને રચાયેલી આ સમિતીએ તલસ્પર્શી કાર્યયોજના એકશન પ્લાન સાથે પોતાની ભલામણોનો અહેવાલ રાજ્ય સરકારને એક મહિનામાં આપવાનો રહેશે. સમિતી આ અંગેનો વચગાળાનો અહેવાલ ઇન્ટરીમ રિપોર્ટ બે સપ્તાહમાં સરકારને સોંપશે. આ ઉચ્ચસ્તરીય સમિતી રાજ્યમાં સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકશાનનો અભ્યાસ કરીને સેકટર સ્પેસીફિક પૂર્નગઠન માટેના ઉપાયો-સૂઝાવો આપશે. સમિતીના અન્ય કાર્યક્ષેત્રોમાં જે બાબતોને આવરી લેવામાં આવી છે તેમાં રાજ્યની રાજકોષિય-ફિઝકલ અને અંદાજપત્રીય બજેટ સ્થિતીની સમીક્ષા અને તેના સુધારાત્મક પગલાંઓ સૂચવવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે.

              એટલું જ નહિ, કોવિડ-૧૯  મહામારી પછીની ઉદભવનારી સ્થિતીમાં રાજકોષિય ખાધ-ફિઝકલ ડેફિસીટ અંદાજો અને વર્તમાન કર માળખાની પણ પૂર્નવિચારણા તેમજ પૂર્નગઠનની બાબતે પણ આ સમિતી ભલામણો કરશે. રાજ્યના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ઊદ્યોગોને ઉત્પાદન માટે શ્રમિકો-લેબર એક મહત્વપૂર્ણ પરિબળ છે. કોરોના વાયરસની હાલની સ્થિતીમાં ગુજરાતમાંથી મોટાપાયે આવા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં ચાલ્યા ગયા છે ત્યારે શ્રમિકોની ઉપલબ્ધિની વ્યવસ્થાઓ સુધારણા માટેની બાબતો પણ આ સમિતીના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. આ ઉચ્ચસ્તરિય સમિતી અન્ય રાષ્ટ્રોમાંથી પોતાના એકમો બીજા દેશ-રાષ્ટ્રમાં ખસેડવા ઇચ્છતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં રોકાણો માટે આકર્ષિત કરવા માટેની યોગ્ય નીતિ ઘડતરની ભલામણો પણ રાજ્ય સરકારને કરશે. એટલું જ નહિ, રાજ્યના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષિય સુધારણા રિવાઇવલ માટે ઇમીજીયેટ - ત્વરિત, મીડીયમ ટર્મ ટૂંકાગાળાનો અને લોંગ ટર્મ લાંબાગાળાનો સર્વગ્રાહી એકશન પ્લાન આ સમિતી તૈયાર કરશે.

(8:25 pm IST)