Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

અમદાવાદ જિલ્લામાં ૫૪.૩૧ લાખ મતદાન કરવા ઉત્સુક છે

૭૦,૭૧૪ મતદારો પ્રથમ વખત મતદાન કરશેઃ ૫૬૨૭ મતદાન મથકો અને ૧૦૫ સખી મથકો : ૫૧૬૪ પોસ્ટર્સ, બેનર્સ, ઝંડી, ધ્વજા, પતાકા, લખાણોને દૂર કરાયા

અમદાવાદ,તા.૧૩: લોકસભાની સામાન્ય ચુંટણીઓ આગામી માસમાં યોજાનાર છે. આ માટે આદર્શ આચારસંહિતાનો અમલ કરી દેવાયો છે. અમદાવાદ લોકસભા વિસ્તારમાં ૨૧ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ સંપુર્ણ કામગીરી હાથ ધરી છે. આદર્શ આચારસંહિતા અને જિલ્લામાં હાથ ધરાયેલી ચુંટણી તૈયારીઓ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં અમદાવાદ જિલ્લા ચુંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં કુલ ૫૪,૩૦,૯૧૭ મતદારો છે. જેમાં ૨૮,૩૯,૫૫૬ પુરુષ મતદારો તથા ૨૫,૯૧,૨૨૨ મહિલા મતદારો અને ૧૩૯ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જો કે નવા મતદારો નોંધવાની કામગીરી તા. ૨૨મી માર્ચ સુધી ચાલુ રહેશે એમ તેમણે જણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષની વય જૂથના ૭૦,૭૧૭ મતદારો છે જે આ વખતે પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે ૨,૮૯૨ સર્વિસ મતદારો છે.  અમદાવાદ જિલ્લામાં ૧૯૨૩ મતદાન મથક સ્થળોએ ૫,૬૨૭ મતદાન મથકો છે. અમદાવાદ જિલ્લામાં ઇવીએમ અને વીવીપેટની સંખ્યા ૧૩૦ ટકા જેટલી છે. આ ઉપરાંત ૧૦૫ સખી મતદાન મથકો હશે, જે સંપુર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત હશે. એ જ રીતે તમામ વિધાનસભા વિસ્તાર દીઠ એક એટલે કે સમગ્ર જિલ્લામાં ૨૧ મતદાન મથકો દિવ્યાંગજનો દ્વારા સંચાલિત રહેશે. તેની પાછળ દિવ્યાંગજનોને આગળ લાવવાનો ચુટણી પંચનો હેતુ છે એમ શ્રી પાંડેએ જણાવ્યું હતું.  જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાઈ રહ્યો છે. ચુંટણી જાહેર થતા જ શહેર-જિલ્લામાંથી પોસ્ટર્સ- બેનર્સ-ઝંડી વગેરે હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. અત્યાર સુધીમાં૫,૧૬૪પોસ્ટર્સ, બેનર્સ, ઝંડી, ધજા, પતાકા, ભીંત લખાણો  વગેરે દૂર કરાયા છે. જિલ્લામાં ખર્ચ નિયંત્રણ સેલ કાર્યરત કરી દેવાયો છે. આ માટે દેખરેખ અને નિયંત્રણ માટે એફએસટીની ૬૩, એસએસટીની ૬૩,વીએસટીની ૬૩, વીવીટીની ૬૩, એટીની ૨૧ તથા એઇઓની ૨૧ ટીમો બનાવાઈ છે. આ ઉપરાંત સીંગલ વિન્ડો સીસ્ટમ કાર્યરત કરી દેવાઈ છે. પ્રચાર માટે જરૃરી વાહન, લાઉડ સ્પીકર, સભા પરવાનગી, સરઘસ-રેલી માટેની પરવાનગી એક જ સ્થળેથી મળે તે માટે વ્યવસ્થા કરાઈ છે એમ તેમણે ઉમેર્યું હતું.

 

(9:46 pm IST)