Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિકસાવવા સહિત નાગરિકોની સુવિધા અર્થે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે રૂ. ૨,૪૪૦ કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવે વિકસાવાશે

ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક ૧૩૫ કિ.મી.નો કોસ્ટલ હાઇવે નવી લીંક સાથે બનશે:ખંભાત, કામતલાવ, આંબલી, પાટિયાની નવી લિંક :ભાવનગર સૌરાષ્ટ્રના ટ્રાફિકને આ લિંકને પરિણામે ૭૦થી ૮૦ કિલો મીટર અંતર ઘટશે :સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શબરીધામને જોડતો ૨૧૮ કિ.મી.નો નવો કોરિડોર અંદાજે રૂ.૧,૬૭૦ કરોડના ખર્ચે વિકસાવાશે : સાપુતારા, માંડવી, કરજણનો નવો કોરિડોર તૈયાર કરાશે: નેશનલ હાઈવે-૮ ઉપર સુરત નજીક રૂ. ૨૭ કરોડના ખર્ચે ફ્લાયઓવર-સર્વિસ રોડ બનશે :રાજ્યમાં પરિવહનને વધુ વેગ આપવા ચાલુ વર્ષે કુલ ૧,૦૦૦ નવી આધુનિક બસો ખરીદવાનો નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો :પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

અમદાવાદ :પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે છે કે,રાજ્યની વિકાસયાત્રા અવિરતપણે ચાલુ રહે અને જનસુખાકારીના લાભો નાગરિકોને સત્વરે મળે એ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અનેકવિધ વિકાસકામો હાથ ધરાઇ રહ્યા છે. જેના ભાગરૂપે દરિયાકિનારાના પ્રવાસન સ્થળોની ટુરિસ્ટ સર્કિટ વિકસે અને નાગરિકોને તેનો લાભ મળે એ માટે અંદાજે રૂ. ૨,૪૪૦ કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરાશે.
  આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપતા પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, કોરોનાના કપરાકાળમાં પણ રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરિણામે વિકાસયાત્રાને અટકવા દીધી નથી. રાજ્યમાં આવેલ ૧,૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠાના નાગરિકોને માળખાગત સવલતોનો લાભ મળે અને પ્રવાસન સ્થળો વિકસે એ માટે ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક કોસ્ટલ હાઈ-વે ૧૩૫ કિ.મી.ની નવી લિંક સાથે વિકસાવાશે. જેમાં ખાસ કરીને ભાવનગર-સૌરાષ્ટ્ર તરફના ટ્રાફિક અત્યારે બોરસદ, તારાપુર,વટામણ ચોકડી, ધોલેરા થઈને ભાવનગર જાય છે તેના સ્થાને ખંભાત, કામતલાવ, આંબલી, પાટીયા સુધીની નવી લિંક બનાવાશે. જેનાથી ભાવનગર-સૌરાષ્ટ્ર જતો ટ્રાફિક વટામણ ચોકડી સુધી જવાના બદલે આ નવી લિંકનો ઉપયોગ કરીને જશે જેનાથી ૭૦ થી ૮૦ કિ.મી. અંતર ઘટશે.
તેમણે ઉમેર્યું કે આ કોસ્ટલ હાઇવે નિર્માણ થશે તેમાં ભીલાડથી વલસાડ, વલસાડથી નવસારી, નવસારીથી સુરત, સુરતથી ભરૂચ અને ભરૂચથી ખંભાતના દરિયાકિનારાને સાંકળીને બનાવાશે. આ કોસ્ટલ હાઇવેના નિર્માણ માટે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો થતાં આ મહત્વનો નિર્ણય કરાયો છે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે ડાંગના પ્રખ્યાત શબરીધામને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જોડવા માટે અંદાજે રૂા.૧,૬૭૦ કરોડના ખર્ચે અંદાજિત ૨૧૮ કિ.મી.નો નવો કોરિડોર વિકસાવવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં હયાત રસ્તાને પહોળા કરીને તેમજ મીસીંગ લિંકમાં નવા રસ્તા બનાવવાનું આયોજન છે. જે સાપુતારા-શબરીધામ-સોનગઢ-ઉકાઇ-દેવમોગરા-માથાસર-ઝરવાણી થઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડશે. જેના પરિણામે સહેલાણીઓને ટુરિસ્ટ સર્કિટમાં જોડવાનો પ્રયાસ છે જેના પરિણામે પ્રવાસન સ્થળો પર આવતા નાગરિકોની સુવિધામાં વધારો થશે.
મંત્રીએ કહ્યુ હતુ કે, હાલમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નર્મદા નદી પરનો હયાત પુલ ભરૂચ ખાતે કાર્યરત છે, જેનો મોટાભાગના વાહનો ઉપયોગ કરે છે. નર્મદા નદી પર આવેલ યાત્રાધામ માલસર ખાતે નવા પુલની કામગીરી પ્રગતિમાં છે, જે આગામી સમયમાં પૂર્ણ થનાર છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર તરફ જતા તેમજ બારડોલી-માંડવી તેમજ સાપુતારા તરફ જતા ટ્રાફિકને લાંબુ અંતર કાપવું ન પડે અને સીધા સાપુતારા પ્રવાસન સ્થળનો લાભ લઇ શકે તે માટે મોટી કોરલ-નારેશ્વર નજીક નર્મદા નદી પર એક નવો પુલ અંદાજિત રૂ. ૩૦૦ કરોડના ખર્ચે બનાવી કરજણ-નારેશ્વર-મોટી કોરલ-ભાલોદ-નેત્રંગ-માંડવીનો એક નવો કોરીડોર નિર્માણ કરવામાં આવશે. જેનો લાભ દક્ષિણ ગુજરાતની તાપી, સાપુતારા તેમજ મહારાષ્ટ્ર તરફ જતાં વાહનો કે અત્યારે નેશનલ હાઇવે પર વાયા સુરત/ચીખલી જવાને બદલે આ રસ્તાનો ઉપયોગ કરીને ઝડપથી પોતાના ગંતવ્યસ્થાને પહોંચી શકાશે. તેમજ સાપુતારા પ્રવાસન સ્થળનો પણ લોકો લાભ લઇ શકશે તેમ તેમણે ઉમેર્યું હતુ.
મંત્રીએ કહ્યું હતુ કે, નેશનલ હાઇવે-૮ પર ખાસ કરીને વડોદરા-સુરત નજીક ઉભેણ ગામ પાસે થતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઉભેણ ખાતે અંદાજે રૂ. ૨૭ કરોડના ખર્ચે એક નવો પુલ તેમજ સર્વિસ રોડ બનાવવામાં આવશે. જેનાથી આ સ્થળે ટ્રાફિક જામની સમસ્યામાંથી લોકોને રાહત મળી શકશે.
 પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની પ્રજાની સુખાકારીને ધ્યાને લઇને વધુ સારી પરિવહન સેવાઓ આપવા માટે મુખ્યમંત્રીશ્રીએ ચાલુ વર્ષે વધુ ૧૦૦૦ નવી બસો ખરીદવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે જેમાં ગ્રામ્ય રૂટ માટે બાવન બેઠકની ક્ષમતા ધરાવતી AIS-052 નોર્મ્સ વાળી આકર્ષક લુક વાળી કુલ ૫૦૦ સુપર એક્સપ્રેસ બસો ફાળવવામાં આવશે. આ ઉપરાંત બેઠક દીઠ મોબાઇલ ચાર્જર, રીડિંગ લાઇટ, બોટલ હોલ્ડર, મેગેઝિન પાઉચની આધુનિક સગવડ ધરાવતી ૨x૨ની ૪૧ બેઠકોવાળી ૩૦૦ લક્ઝરી બસો ફાળવવામાં આવશે. જ્યારે રાત્રિ મુસાફરી કરનાર વર્ગને ધ્યાને રાખીને AIS-119 નોર્મ્સ મુજબની આકર્ષક લુકવાળી ૨૦૦ સ્લીપર કોચ બસો મળી ગુજરાતમાં કુલ ૧,૦૦૦ બસો ફાળવવામાં આવશે તેમ પણ મંત્રીએ ઉમેર્યુ હતું.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકોએ વ્યક્તિગત કામો તથા સામૂહિક વિકાસના કામો સત્વરે પુરા પાડવા માટે આગામી અંદાજપત્ર તૈયાર કરવા મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે ત્યારે આ મુજબનું બજેટ તૈયાર કરવા સમગ્ર વહીવટીતંત્રને સૂચનાઓ આપી દેવાઇ છે. નાણામંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અંદાજપત્ર તૈયાર કરવા માટે બેઠકોનું પણ આયોજન થઇ રહ્યુ છે. જેમાં લાંબાગાળાના તથા ટૂંકાગાળાના કામો આયોજિત કરવા પર ભાર મૂકાશે.
તેમણે ઉમેર્યુ કે રાજ્યના અર્થતંત્રને વેગવાન બનાવવા માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે અત્યાર સુધીમાં જે MOU થયા છે તે તમામ પ્રોજેક્ટો સત્વરે કાર્યાન્વિત થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરાશે. ગુજરાત એક પોલીસી ડ્રિવન્સ સ્ટેટ છે ત્યારે, ઉદ્યોગ જગતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી નવી પોલીસીઓ બને એ માટે પણ સઘન આયોજન હાથ ધર્યું છે.
પ્રવક્તા મંત્રીએ કહ્યુ હતું કે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ ઉપર નિયંત્રણ માટે કોર કમિટિની બેઠક યોજવામાં આવે છે. રાજ્યમાં કોરોના સામે લડવા જરૂરી સાધનોનો ચકાસણી, તપાસ તેમજ કોરોનાની સ્થિતિમાં આરોગ્ય અને વેપાર-ઉધોગોને નૂકસાન ન થાય અને ગુજરાતની વિકાસયાત્રા સતત આગળ વધતી રહે  તેવી મુખ્યમંત્રીશ્રી દ્વારા કલેક્ટરઓ અને ડી.ડી.ઓને સૂચનાઓ આપવામાં આવી છે. કોરોનામાં લોકોને વ્યક્તિગત લાભો અને સરકારી યોજનાઓના લાભો સતત મળતા રહે તેમજ વિકાસ કામો અટકે નહી તેવી તાકીદ પણ મુખ્યમંત્રીશ્રીએ વહીવટીતંત્રને કરી છે. હાલમાં ચાલી રહેલા સેવાસેતુ કાર્યક્રમમાં ૪૦ લાખ અરજીઓમાંથી ૯૯.૯૯ ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ હતું.
મંત્રીએ જણાવ્યુ હતું કે સુરતમાં બનેલી ઝેરી કેમિકલની દુ્ર્ઘટના બાબતે મુખ્યમંત્રીએ GPCB અને પોલીસના આ ઘટનામાં સંકળાયેલા સબંધિત અધિકારીઓ સામે કડક હાથે કામ લેવાની તેમજ ઓધોગિક શહેરોમાં કેમિકલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થાય અને આ પ્રકારની ઘટના પુનઃ ન બને તેવી પણ સંબંધિતોને કડક તાકીદ કરી છે.
 પ્રવક્તા મંત્રીએ કહ્યુ હતું કે, ઊર્જા વિભાગ હેઠળના GUVNL હસ્તકની જેટકો કંપની દ્વારા તાજેતરમાં લેવાયેલી ઇજનેરોની પરીક્ષા સંદર્ભે ગેરરીતિના જે આક્ષેપો થયા છે તે સંદર્ભે મુખ્યમંત્રીએ GUVNLના MDના અધ્યક્ષસ્થાને કમિટિ રચીને પ્રાથમિક તપાસ શરૂ કરી દેવાઇ છે. આ તપાસના અહેવાલો મુખ્યમંત્રીશ્રીને સુપ્રત કર્યા બાદ તેમાં સંડોવાયેલા તમામ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

(6:52 pm IST)