Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

શિક્ષકનું સેવા કાર્ય : નિરતભાઈ જોષીના પ્રયત્નોથી શાળા આસપાસ વસતા 200 પરિવારોને મદદ પહોંચાડવામાં આવી

અમદાવાદ જીલ્લાની જાનીયાપીર પ્રાથમિક શાળામાં નિરતભાઈ જોષી શિક્ષક તરીકે ફરજ બજાવે છે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ: કોવિડ - 19 વાયરસના ફેલાવા થકી કોરોનાની બીમારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લઈ લીધુ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોનાની બીમારીને વૈશ્વીક મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના એ ચેપી રોગ છે. તે ખૂબ જ તીવ્રતા સાથે સંક્રમિત થાય છે. આ વાયરસને ફેલાતો અટકાવવા માટે ભારત સરકારે લોકડાઉન જાહેર કરવું પડ્યું હતુ. આ લોકડાઉનની સ્થિતીમાં ધંધા, રોજગાર બંધ થઈ ગયાં અને આવા સમયે છૂટક મજૂરી કરીને પેટીયું રળતા પરિવારોની સ્થિતી અત્યંત દયનીય બની ગઈ હતી. સરકાર તેની રીતે જરૂરીયાતમંદ લોકોની મદદના પ્રયત્નો કરી રહી હતી. પરંતુ તેની મદદ પહોંચતા વાર લાગે તે સ્વાભાવિક છે

  . આ દરમિયાન જાનીયાપીર પ્રાથમિક શાળાના શિક્ષક નિરતભાઈ જોષીએ શાળાની તેમજ આજુબાજુમાં રહેતા પરિવારોની મુલાકાત લીધી હતી. અનેક પરિવારોને અત્યંત દયનીય પરિસ્થિતિમાં જોઈ તેમનું હૈયું દ્રવી ઉઠ્યું અને ત્યાં જ આ પરિવારોની મદદ કરવાનો સંકલ્પ કરી નિરતભાઈ જોષી પરત ફર્યા હતા. પરત આવી પોતાના ફ્લેટ્સમાં શાળાની આસપાસ વસતા પરિવારોની વાસ્તવિક સ્થિતિ અંગે પંચવટી પેરેડાઈઝ યુવક મંડળ સાથે ચર્ચા કરી બનતી મદદ કરવા તૈયારીઓ આદરી. બીજી તરફ  એક સંસ્થાને પણ જાણ કરી બનતી મદદ કરવા વિનંતી કરી. નિરતભાઈ જોષીના પ્રયત્નોની ફલશ્રુતિ સ્વરૂપે સંસ્થા દ્વારા તારીખ 04/04/2020 ના રોજ 80 અનાજની કીટનું શાળાના પ્રાંગણમાં જ જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કીટમાં 4 કિલો ઘઉંનો લોટ, 1.5 કિલો ચોખા, 1.5 કિલો તુવર દાળ, 1 કિલો ખાંડ, 1 કિલો મીઠું, 1 ડેટોલ સાબુ, 500 મી.લી. તેલ આપવામાં આવ્યું હતું. જેમાં એક કીટની અંદાજીત રકમ રૂપિયા 350 લેખે 80 કીટની રકમ રૂપિયા 28,000 ની સામગ્રીની સીધી મદદ આ પરિવારોને પહોંચાડવામાં આવી હતી. હજુ આટલેથી ના અટકતા નિરતભાઈ જોષીના પ્રયત્નો આગળ પણ ચાલુ જ રહ્યાં. તેમણે પંચવટી પેરેડાઈઝ, વસ્ત્રાલના યુવક મંડળ સાથે મળી પંચવટી પેરેડાઈઝ માંથી ઘઉં, ચોખા, દાળ વિગેરે સામગ્રી ઉઘરાવવાનું શરૂ કર્યુ હતું.

  ખૂટતી સામગ્રી યુવક મંડળ અને નિરતભાઈ જાતે પૂરી પાડશે તેમ નક્કી કરી શાળામાં જ રસોડું શરૂ કરવાનું નક્કી કરી તારીખ 05/04/2020 ના રોજ સવાર સાંજ રસોઈ બનાવી જરૂરિયાતમંદ પરિવારોને શાળામાં જ ભોજન વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતુ. લગભગ 200 પરિવારોને ભોજન પહોંચાડવા અર્થે આવી રીતે જાનીયાપીર પ્રાથમિક શાળામાં અન્ન ક્ષેત્ર શરૂ થયું હતુ. ભોજન વિતરણ સમયે સોસિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતુ. 3 દિવસ સવાર અને સાંજ ભોજન વિતરણ કર્યા બાદ અન્ય એક સેવાભાવી સંસ્થાની ગાડી સવારે ભોજન વિતરણ માટે આવવાની શરૂ થવાના કારણે તારીખ 08/04/2020 થી સાંજે ભોજનસેવા યજ્ઞ ચાલુ રાખવામાં આવ્યો હતો

  . આ સેવાયજ્ઞ તારીખ 15/04/2020 સુધી પ્રજ્જ્વલ્લીત રહ્યો. ભોજન બનાવવાના કાર્યમાં કાયમ શિક્ષક  નિરત જોષી, પંચવટી પેરેડાઈઝ યુવક મંડળના સભ્યો, મ.ભો.યો. ના સંચાલીકા બેન તેમજ મ.ભો.યો.ના સેવીકા બહેનો એ ખડે પગે શ્રમકાર્ય કર્યુ હતુ. સેવા કાર્ય બંધ કરતા પહેલા પણ આ પરિવારોની આગામી દીવસોની ચિંતા કરતાં આ પરિવારો વચ્ચે 300 કિલો ઘઉંનો લોટ અને 150 કિલો બટાકા નું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ વિતરણ વખતે અગાઉ કીટ મેળવી ચુકેલ પરિવારોને બાકાત રાખવામાં આવ્યાં જેથી બાકી રહેલ પરિવારોને વધુ સામગ્રી મળી રહે. અન્ન ક્ષેત્રમાં કુલ 575 કિલો ઘઉંનો લોટ, 350 કિલો શાક, 10 તેલના ડબા, 10 કિલો મરચું, 8 કિલો ધાણાજીરું, 4 કિલો હળધર, 6 કિલો મીઠું જેવી સામગ્રીનો વપરાશ થયો હતો.

 અન્ન ક્ષેત્રમાં કુલ રૂપિયા 1,35,000 જેટલો ખર્ચ કરવામાં આવ્યો તથા અંતિમ દીવસે લોટ અને બટાકાના વિતરણ અર્થે કુલ રૂપિયા 16,750 જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. શિક્ષક નિરતભાઈ જોષીના પ્રયત્નો દ્વારા આવી આકસ્મિક વિકટ પરિસ્થિતિમાં શાળા આસપાસ વસતા 200 જેટલા પરિવારોને કુલ રૂપિયા 1,51,750રૂપિયાની મદદ પહોંચાડવામાં આવી હતી. (માહિતી સ્તોત્ર - નિરતભાઈ જોષી)

(6:05 pm IST)