Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

સંગીતના ૩૫૩ TAT પાસ ઉમેદવારોની તાત્કાલીક ભરતી કરો

ગુજરાતના સંગીત અને કલા શિક્ષકોની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંવેદના સભર અરજ : છેલ્લે ૨૦૦૭માં સંગીત શિક્ષકોની ભરતી થઈ હતી, બાદ ૨૦૧૧માં સંગીત TAT પરીક્ષા લેવાયેલ પણ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની ભરતી ન થતા પ્રમાણપત્રની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી : મોટાભાગની શાળાઓમાં સંગીત શિક્ષકોની જગ્યા ખાલી

રાજકોટ : 'ગતિશીલ ગુજરાત'ની કેડી કંડારનાર સાંપ્રત ગુજરાત રાજય સરકારના  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ મસમોટા સફળ નિર્ણય તેમની લોકપ્રિયતાનું મહત્વનું અંગ છે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા માર્ચ-એપ્રિલ ૨૦૨૧ સુધીમાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં ૬૦૦૦ જેટલા શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત થયેલ છે,અને ભરતી પ્રક્રિયાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના બે રાઉન્ડ અને ડોકયુંમેન્ટ વેરીફીકેશન પણ પૂર્ણ થયેલ છે,પરંતુ આ ભરતી પ્રક્રિયામાં સંગીત TAT પાસ ઉમેદવારોને હજી સુધી ધ્યાને લેવાયા નથી.

સંગીત TAT પાસ ૩૫૩ ઉમેદવારો વતી ભાવેશભાઈ બાંભણીયા, સંદીપભાઈ વ્યાસ,ધર્મેશભાઈ પરમાર, યશભાઈ પંડ્યા, ભાર્ગવભાઈ રાજયગુરૂના જણાવ્યા મુજબ છેલ્લે વર્ષ ૨૦૦૭માં સંગીત શિક્ષકોની ભરતી થયેલ. ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં સંગીત TAT પરિક્ષા લેવાય પરંતુ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની ભરતી ન થતા સર્ટિફિકેટની સમય મર્યાદા પૂર્ણ થઈ. વર્ષ ૨૦૧૮-૧૯માં ફરી સંગીત TAT પરિક્ષા લેવાય જેમાં સમગ્ર ગુજરાત રાજયમાં માત્ર ૩૫૩ ઉમેદવારો ઉતીર્ણ થયા.

હાલ ગુજરાત રાજયમાં ૩૩૦૦૦ સરકારી અને ૫૦૦૦ જેટલી અનુદાનિત શાળાઓ કાર્યરત છે,મોટા ભાગની શાળાઓમાં સંગીત શિક્ષકની જગ્યાઓ ઘણા લાંબા સમયથી ખાલી પડેલી છે.

આ ભરતી પ્રક્રિયામાં ૩૫૩ ઉમેદવારોની ૧૩ વર્ષની આતુરતાનો અંત આવે અને સરકારશ્રી તેઓને ભરતી પ્રક્રિયામાં સામેલ કરે તે માટે ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી પસંદગી બોર્ડ,રાજયપાલશ્રી ગુજરાત રાજય,શિક્ષણ મંત્રીશ્રી ગુજરાત રાજય,મુખ્ય મંત્રી વેબ પોર્ટલ, મુખ્ય મંત્રીશ્રી કાર્યાલય ગાંધીનગર, પ્રધાન મંત્રીવેબપોર્ટલ, પ્રધાન મંત્રી કેન્દ્રીય ફરિયાદ ઉકેલ સમિતિ, વગેરે સુધી લેખિત મૌખિક અને રૂબરૂ રજુઆતો થયેલ છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલી બનેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતી મુજબ સંગીત જેવા કલા વિષયોને અન્ય વિષયો જેટલુજ મહત્વ આપવાનું સૂચન કરાયું છે.

ઉપરાંત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અયોગ્ય અને કરાર આધારિત શિક્ષકોની પ્રથા બંધ કરી જે-તે વિષયના લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણુક કરવી તેવો પણ ઉલ્લેખ છે.

ગુજરાત રાજય સરકાર હંમેશા સંગીત-કલા અને વારસા પ્રત્યે જાગૃત રહી અને સંગીત- કલા તથા વારસાનું રક્ષણ કરતી રહી છે તેવામાં ગુજરાત રાજયમાં થઈ રહેલ ૬૦૦૦ શિક્ષકોની ભરતીમાં સંગીત TAT પાસ ઉમેદવારોને પણ ગુજરાત સરકાર અન્ય વિષયો જેટલુ જ મહત્વ આપે અને ૧૩ વર્ષથી જે ભરતી નથી થઈ તે બાબત ધ્યાને લઈ આ વખતની ભરતી પ્રક્રિયામાં મોટા પાયે આ ૩૫૩ સંગીત TAT પાસ ઉમેદવારોની ભરતી થાય તેવી આશા ગુજરાત રાજય સંગીત TAT પાસ ૩૫૩ ઉમેદવારો સરકારશ્રી પાસે રાખી રહ્યા છે.

(11:36 am IST)