Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

બેવડી ઋતુથી સંક્રમણ વધવાની ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી

રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ : વાદળછાયા અને ભેજવાળા વાતાવરણમાં શરીદ, તાવના કેસના લીધે કોરોનાનો ચેપ લાગવાનો ભય વધુ રહેલો છે

અમદાવાદ, તા. ૧૧ : હાલ રાજ્યભરના અનેક તાલુકા અને જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે જગતના તાતને તો રોવાનો વારો આવ્યો છે. પરંતુ બે ઋતુના કારણે ડોક્ટરોએ હવે એક મોટી ચિંતા વ્યક્ત કરીને લોકોની ઉંઘ હરામ કરી દીધી છે. રાજ્યભરમાં હવામાનના પલટા અંગે ડૉક્ટરોએ એક મોટી ચિંતા વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં બે ઋતુના અનુભવના કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતા જોવાઈ રહી છે. કારણ કે વાદળછાયું અને ભેજવાળા વાતાવરણમાં શરીદ, તાવના કેસના લીધે કોરોનાનો ચેપ લાગવાનો ભય વધુ રહેલો છે.

એએમએના પ્રમુખ ડૉ.કિરીટ ગઢવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ ઠંડી, વરસાદથી વાયરસ જમીન તરફ ધકેલાય છે. જમીન તરફ વાયરસ આવવાથી સંક્રમણની શક્યતા દર્શાવવામાં આવી છે. એએમએના પ્રમુખે જણાવ્યું કે વેકસીન ન શોધાય ત્યાં સુધી માસ્ક પહેરવા લોકોને સલાહ આપવામાં આવી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતભરના વાતાવરણમાં આવેલા પલટાના કારણે તબીબી આલમમાં કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા વ્યક્ત કરી છે. એએમએના પ્રમુખે જણાવ્યુ કે, વાતાવરણમાં આવેલા પલટાના કારણે કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. બે ઋતુના કારણે શરદી અને તાવના કેસમાં વધારો થાય છે. જેથી કોરનાના કેસ પણ વધી શકે છે. ઠંડી અને વરસાદને લઈને વાયરસ પર દબાણ થતું હોવાથી વાયરસ જમીન તરફ ધકેલાય છે. જમીન તરફ વાયરસ આવવાથી કોરોનાનું સંક્રમણ વધી શકે છે. જેથી એએમએ દ્વારા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.

(8:52 pm IST)