Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ગ્રેચ્યુઇટીની ચૂકવણી ન કરનારી 8 કંપનીઓ સામે ગુન્હો :શ્રમ અને રોજગાર વિભાગે ફટકારી નોટિસ

અમદાવાદ, સુરત, વડોદરા અને વલસાડની આઠ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ

અમદાવાદ : ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કેટલીક ખાનગી કંપનીઓ જે પોતાના કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની રકમ ન ચૂકવતી હોય તેમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રા દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને વલસાડની આઠ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

શ્રમ વિભાગને વિવિધ સંસ્થાના કર્મચારીઓ તેમજ સંગઠનો દ્વારા પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, 1972 હેઠળ કંપનીઓ દ્વારા ગ્રેચ્યુઇટી ન ચૂકવવા અંગે અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના અનુસંધાને શ્રમ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી, ખરાઈ કરવામાં આવી હતી કે રાજ્યનાં આઠ એકમો દ્વારા ગ્રેચ્યુઇટીની ચૂકવણીમાં વિલંબ કરવામાં આવ્યો છે અથવા ગ્રેચ્યુઇટીની ચૂકવણી કરવામાં આવી નથી. જેના લીધે આ આઠેય સંસ્થાઓને કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી હતી.
આ સંસ્થાઓ વિરુદ્ધ દંડની જોગવાઈઓ સહિત પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, 1972ની કલમ 9 અને કલમ 11 હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવશે. જે પ્રમાણે કોઈપણ નિયોક્તા આ કાયદાની અથવા તો આ કાયદા હેઠળ બનાવવામાં આવેલા કોઈ પણ નિયમો અથવા તો હુકમોની કોઈ પણ જોગવાઈઓનું પાલન ન કરે અથવા તેનું ઉલ્લંઘન કરે, તો તેને ઓછામાં ઓછી ત્રણ મહિનાની અને વધુમાં વધુ એક વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ.10,000 અને વધુમાં વધુ રૂ.20,000 સુધીનો દંડ અથવા બંને સજાની જોગવાઈ છે

(8:49 pm IST)