Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાજ્યમાં શિશુ મૃત્યુ દર ૧૦ સુધી લઇ જવા પ્રયાસો કરાશે

બાળકોને સ્વસ્થ્ય રાખવા માટેનું ખાસ અભિયાન : નવજાત શિશુથી કિશોરોના સ્વાસ્થ્યને આવરી લઇને હેલ્ધી ચાઇલ્ડ, હેપી ફેમીલી, હાર્મનીયસ નેશન્સની થીમ સાર્થક

અમદાવાદ,તા.૧૧ : એકેડમી ઓફ પીડિયાટ્રીક્સ, ગુજરાત દ્વારા નવજાત શિશુથી કિશોરોના સ્વાસ્થ્યને આવરી લઇ હેલ્ધી ચાઇલ્ડ, હેપી ફેમીલી અને હાર્મનીયસ નેશનની થીમ અંતર્ગત હવે ગુજરાતના બાળકોને વધુ હેલ્ધી એન્ડ ફીટ રાખવામાં આવશે. ગુજરાતમાં હાલ શિશુ મૃત્યુ દરનો રેશ્યો હજારે ૩૦થી વધુનો છે, તે ઘટાડીને ૧૦ સુધી લાવવાનો હવે ગુજરાતમાં પ્રયાસ કરાશે. એટલું જ નહી, એકેડમી ઓફ પીડિયાટ્રીક્સ, ગુજરાત હવે આવતા વર્ષે શિશુ મૃત્યુ દરનો રેશ્યો ૧૦ સુધી લાવવા માટે રાષ્ટ્રીયકક્ષાએ અભિયાન છેડાશે એમ અત્રે એકેડમી ઓફ પીડિયાટ્રીક્સ,ગુજરાતના પ્રમુખ ડો.નિશ્ચલ ભટ્ટ, સેક્રેટરી ડો.કિરણ શાહ અને એકેડમી ઓફ પીડિયાટ્રીક્સ, અમદાવાદના પ્રમુખ ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકેડમી ઓફ પીડિયાટ્રીકસ, ગુજરાત દ્વારા નવજાત શિશુથી કિશોરોના સ્વાસ્થ્યને આવરી લઇ હેલ્ધી ચાઇલ્ડ, હેપી ફેમીલી અને હાર્મનીયસ નેશનની થીમ અંતર્ગત યુનિસેફ, ગુજરાત સ્ટેટ એઇડ્ઝ કંટ્રોલ સોસાયટી અને ગુજરાત સરકારના સહયોગથી સમગ્ર વર્ષ દરમ્યાન ઘણી બધી રચનાત્મક અને નોંધનીય પ્રવૃત્તિ હાથ ધરાઇ હતી, જેમાં સક્ષમ મોડેલ અન્વયે રાજયમાં ૧૫૦૦થી વધુ પેરામેડિકલ સ્ટાફને શિશુને રસીકરણ, બ્રેસ્ટ ફીડીંગ, ન્યુટ્રીશન, બાળવિકાસ સહિતના મુદ્દે તાલીમ અપાઇ હતી. તો, ઇન્ટેકટ પ્રોગ્રામ અંતર્ગત રાજયમાં નવજાત શિશુ મૃત્યુ દર ઘટાડવાના મામલે જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં હાલ રાજયમાં શિશુ મૃત્યુ દર ૩૦થી વધુનો છે તે ઘટાડી હવે આગામી વર્ષ સુધીમાં ૧૦નો કરવાના અસરકારક પ્રયાસો હાથ ધરાશે. તો, પરવાહ મોડેલ અંતર્ગત, ચાઇલ્ડ સેક્સુઅલ એબ્યુઝના સમાજમાં વધી રહેલા ચિંતાજનક બનાવોને લઇ સર્વે અને અભ્યાસ હાથ ધરાયો હતો. જેમાં પાછલા કેટલાક વર્ષોમાં ચાઇલ્ડ સેક્સુઅલ એબ્યુઝના કિસ્સાઓમાં સાતથી દસ ટકા સુધીનો વધારો નોંધાયો છે, જે ઘણી ગંભીર અને ચિંતાજનક બાબત છે. સર્વેમાં એવી ચોંકાવનારી વાત પણ સામે આવી હતી કે, મોટાભાગના કિસ્સામાં બાળક કે બાળકીની જાતીય સતામણી તેમના નજીકના વ્યકિત, સગા કે પરિચિત દ્વારા જ કરાઇ હતી. આ દૂષણને નાથવા પીડિયાટ્રીશીયન ડોકટરોની સાથે સાથે શિક્ષકો, બાળકોના વાલીઓને સાથે રાખી પરવાહ કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.

આ જ પ્રકારે ઇમ્પેક્ટ મોડેલ અન્વયે પીડિયાટ્રીશીયન તબીબો દ્વારા જ બાળકોને રસીકરણ કરાય તે માટેની જાગૃતિ ફેલાવાઇ હતી. એકેડમી ઓફ પીડિયાટ્રીક્સ,ગુજરાતના પ્રમુખ ડો.નિશ્ચલ ભટ્ટ, સેક્રેટરી ડો.કિરણ શાહ અને એકેડમી ઓફ પીડિયાટ્રીક્સ, અમદાવાદના પ્રમુખ ડો.મનીષ મહેતાએ  ઉમેર્યું હતું કે, આ તમામ કાર્યક્રમોમાં રાજયના ૧૫૦૦થી વધુ પીડિયાટ્રીશીયન્સ ડોકટરો, ૬૦ હજારથી વધુ વાલીઓ અને ૧૫૦૦થી વધુ પેરામેડિકલ સ્ટાફને સાંકળી લેવાયા હતા. ઉપરાંત રાજય સરકાર, યુનિસેફ અને ગુજરાત સ્ટેટ એઇડ્ઝ કંટ્રોલ સોસાયટીનો પણ ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થતાં ઉપરોકત કાર્યક્રમો બહુ સફળ રહ્યા હતા. નોંધનીય વાત એ છે કે, ગુજરાત સરકાર દ્વારા એકેડમી ઓફ પીડિયાટ્રીક્સ,ગુજરાતને એમઆર કેમ્પેઇન માટે આઉટસ્ટેન્ડીગ સપોર્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. આ કેમ્પેઇનમાં દોઢ કરોડો બાળકોને માત્ર ૪૫ દિવસમાં એમઆર રસીનો ડોઝ અપાયો હતો.

(9:35 pm IST)