Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

બંધારણની મર્યાદામાં રહીને પાટીદારોને અનામત અપાશે

ભાજપ હાર ભાળી ગઇ હોઇ ડરી ગઇ છે : ભરતસિંહ : ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૮૯માંથી ૫૫ બેઠકો કોંગ્રેસને મળશે એવો ભરતસિંહનો દાવો : ભાજપ પર ફરી પ્રહારો

અમદાવાદ,તા.૧૨ :     ગુજરાતમાં પાટીદારોને અનામત આપવાની વાત કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કરી છે તો તે કઇ રીતે આપશો એ મતલબના પ્રશ્નના જવાબમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ બંધારણની મર્યાદામાં રહીને આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે બિનઅનામત સમુદાય છે તેઓ માટે ખાસ બીલ લાવશે, તેને પસાર કરી રાષ્ટ્રપતિની મંજૂરી અર્થે મોકલાશે અને બિનઅનામત સવર્ણ સમુદાય માટે વિશેષ આયોગની રચના કરવામાં આવશે. એટલે પાટીદારોને અનામત આપવાની ખાતરી પર કોંગ્રેસ મક્કમ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પ્રવર્તમાન સ્થિતિ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં હાર ભાળી ગયેલી ભાજપ એકદમ રઘવાઇ થઇ ગઇ છે, ડરી ગઇ છે અને બોખલાઇ ગઇ છે. આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસની જીત નક્કી છે અને ગુજરાતમાં કોંગ્રેસની જ સરકાર બનવાની છે. રાજયમાં પ્રથમ તબક્કાના મતદાનની વાત કરીએ તો, કોંગ્રેસ ૮૯ વિધાસભા બેઠકોમાંથી પંચાવન બેઠકો પર જીતે તેમ લાગી રહ્યું છે.

 તા.૧૪મી ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની જનતા ભારે ઉત્સાહ અને પૂરા જોશથી કોંગ્રેસ તરફી જ મતદાન કરવાની છે એવી આશા તેમણે વ્યકત કરી હતી. રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત દરમ્યાન પ્રદેશ કોગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સાથે રાષ્ટ્રીય નેતાઓ રણદીપ સુરજેવાલા, રાજીવ શુકલા, પવન ખેડા, અશોક ગેહલોત, કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશી સહિતના આગેવાનો પણ તેમની સાથે હાજર રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટી આ વખતે આશાવાદી દેખાઇ રહી છે. 

(8:08 pm IST)