Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

કોંગ્રેસ જેટલો વધુ કિચડ ફેલાવશે તેટલુ કમળ વધુ ખીલશેઃ નરેન્દ્રભાઈ

પાટણમાં જાહેરસભામાં કોંગ્રેસ સામે આકરા પ્રહારો

પાટણ, તા. ૧૨ :. પાટણ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરસભા સંબોધીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ કે, કોંગ્રેસ જેટલો વધુ કિચડ ફેલાવશે તેટલું કમળ વધુ ખીલશે. ભાજપનું કમળ પ્રજાના દિલમાં છે.

ગુજરાતમાં બીજા તબક્કાના મતદાનને લઈને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં છે ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાની સ્ટાઈલમાં પાટણ ખાતે સભા સંબોધી કોંગ્રેસને ભીંસમાં લેવા પ્રયત્ન કર્યો હતો. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના એક કલાક બાદ જ કોંગ્રેસ ઈવીએમમાં ચેડા અને બ્લુ ટુથથી મતો ભાજપમાં સ્વીંગ થતા હોવાની બુમાબુમ મચાવી દીધી હતી, પરંતુ ગુજરાતમાં હાર નજર સમક્ષ દેખાતા કોંગ્રેસવાળા બ્લુ ટુથની વાત કરી બ્લ્યુ વહેલ ગેમમાં ફસાયા છે. ગુજરાતમાં પાટણમાં ચૂંટણી સભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, ઉત્તર ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર અને શકિત આપી છે તેને એળે નહીં જવા દઉં. મારા શરીરનો કણ-કણ અને ક્ષણ ક્ષણ સવાસો કરોડ દેશવાસીઓની સેવામાં સમર્પિત કરીશ.

નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર ઉમેર્યુ હતુ કે લોકોને વિકાસ સામે વાંધો છે. આ કોંગ્રેસવાળા ભાષણ કરે છે કે હોસ્પીટલ નથી, રોડ નથી, શાળા નથી. મેં તેમણે બનાવેલી શાળાને તાળા માર્યા છે મેં તેમણે બનાવેલી હોસ્પીટલ બંધ કરી છે ?? દિલ્હીમાં તળીયા ઝાટક કરીને કોંગ્રેસ ગઈ હતી. તેમને સગા-સંબંધી છે મારે તો પ્રજા સિવાય બીજુ કોઈ નથી. કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવે છે તમે જેટલું કિચડ ઉછાળશો તેટલું કમળ વધુ ખીલશે. મોદી પાંચ ઉદ્યોગપતિઓ માટે કામ નથી કરતા છતાં કોંગ્રેસ આક્ષેપો કરે છે.

આ તકે બળવંતસિંહ રાજપૂત, રણછોડભાઈ દેસાઈ, જયનારાયણ વ્યાસ, દિલીપસિંહ ઠાકોર, રણછોડભાઈ દેસાઈ, કે.સી. પટેલ, લવીંગજી ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)