Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

એક તરફ વિકાસ છે, બીજી બાજુ વંશવાદ છે : મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના પનોતાપુત્ર વડાપ્રધાન ઉપર હલકા પ્રકારના પ્રહારથી પ્રજામાં રોષ છે: તેનો બદલો મતદાનથી પ્રજા આપશે : કડી ખાતે જંગી જાહેરસભાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું સંબોધન : આખરી ઝંઝાવતી ચૂંટણી પ્રચારમાં મુખ્યમંત્રીશ્રીના કોંગ્રેસ પર આકરા પ્રહાર: કોંગ્રેસના મૂળિયા સાફ થશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બીજા તબક્કાના આખરી ચૂંટણી ઝંઝાવાતી પ્રચારમાં કડી ખાતે જાહેર જંગી સભાને સંબોધતા જણાવ્યુ હતુ કે, ઉત્તર ગુજરાતની જનતા આ વખતની ચૂંટણીમાં ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પર કોંગ્રેસ દ્વારા હલકા પ્રકારના પ્રહાર અને ટિપ્પણી કરવામાં આવી રહ્યા છે તેને લઈને રાજ્યની જનતામાં ભારે રોષ છે અને તેનો બદલો મતદાનથી ગુજરાતની જનતા આપશે અને કોંગ્રેસના મૂળિયા ગુજરાતમાંથી સાફ થઈ જશે. એક તરફ વિકાસની આંધી છે તો બીજી તરફ કોંગ્રેસમાં વંશવાદ અને જાતિવાદ, કોમવાદ છે. જાતિવાદનું ઝેર ફેલાવે છે. ગુજરાતની જનતા હવે કોંગ્રેસને ઓળખી ગઈ છે. આ ચૂંટણીમાં જીતશે વિકાસ જીતશે ગુજરાત અને જનતા જનાર્દન ફરી ભાજપની સરકાર બનાવશે તેવો વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાતનો વિકાસ દસે દિશામાં આપણે સૌ મળીને આગળ લઇ જઈશુ. આપણો મંત્ર વિકાસ છે સૌનો સાથ સૌનો વિકાસ રહ્યો છે. આ સરકાર ગરીબો, શોષિતો, પીડીતો, દલીતો, આદિવાસીઓ અને મધ્યમ વર્ગની સરકાર છે. આપણે છેવાડના માનવી સુધી નર્મદાનું પાણી પીવા માટે અને સિંચાઇ માટે પહોંચાડ્યુ છે. આપણા દેશના વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારે માત્ર ૧૭ દિવસમાં નર્મદા ડેમના દરવાજાને મંજૂરી આપીને ખેડૂતોની ચિંતા કરી છે. દરિયામાં વહી જતા પાણી ખેડૂતોના હિતમાં પહોંચાડવાનું કામ કર્યુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૦૨૨ સુધીમાં લોકોને ઘર નું ઘર, જ્યોતિગ્રામ યોજના, ઘરે ઘરે શૌચાલય, ઘરે ઘરે ગેસના બાટલા પહોંચાડ્યા છે. ૨૦૦૧ પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે. કોંગ્રેસના ૪૫ વર્ષના શાસનમાં કર્ફ્યુ થતા હતા વર્ષના ૩૬૫ દિવસમાંથી ૨૦૦ દિવસ કર્ફ્યુ રહેતા હતા. જગન્નાથની રથયાત્રા પણ નહોતી નિકળી શકતી હતી, કોમી તોફાનો થતાં હતા. 

 

        આજે ગુજરાતમાં ઔદ્યોગિક ઉત્પાદન ૮૦ હજાર કરોડથી વધીને આજે ૧૨ લાખ ૪૦ હજાર કરોડ સુધી પહોંચ્યુ છે. ગરીબોને ૨ રૂપિયે ઘઉં અને ૩ રૂપિયે ચોખા સરકાર દ્વારા અંત્યોદય યોજનામાં મળે છે અને શ્રમિકોને ૧૦ રૂપિયામાં ભોજન આપવામાં આવે છે. જ્યાં માનવી ત્યાં સુવિધા પહોંચાડી છે. ખેડૂતોને ૧૦ કલાક વિજળી અને કપાસ, મગફળીના ટેકાના ભાવે માર્ચ મહિના સુધી ખરીદવાનો નિર્ણય આ સરકારે કર્યો છે. ગુજરાતના લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હિન્દુ આતંકવાદ દેશ માટે જોખમી છે તેવા નિવેદનો પહેલા આપેલા છે અને ગુજરાતની ચૂંટણી આવી એટલે મંદિરે મંદિરે ફરે છે.  

        આ પ્રસંગે સ્થાનિક ઉમેદવારને જંગી બહુમતી જિતાડવા અને ચારે બાજુ કમળને ખિલવવા આહવાન કર્યુ હતુ. આ પ્રસંગે ભાજપના અગ્રણી, કાર્યકર્તાઓ, જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

(9:19 am IST)