Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

ચાઇનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહી થશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

વ્યાપક દરોડા અને આરોપીઓ સામે કાર્યવાહી કરાશે : ગુજરાત સરકાર દ્વારા સતત ચોથા વર્ષે અબોલ પક્ષી અને જીવો માટે કરૂણા અભિયાનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરંભ કરાવ્યો

અમદાવાદ, તા.૧૨ :    ચાઈનીઝ દોરીના વેપારીઓ ચાઈનીઝ દોરીનું ઉતરાયણના આ પર્વમાં ધૂમ વેચાણ કરી ધંધો કરતા હોય છે. વેપારીઓ નબળા કાયદાનો ફાયદો ઉઠાવે છે અને ચાઈનીઝ દોરીનો ધૂમ વેપાર કરે છે, જેના પરિણામે આ ઘાતક દોરીથી લોકોના અને પક્ષીઓનાં જીવ સામે સીધુ જોખમ પણ ઉભુ થાય છે, પરંતુ કાયદો કડક કરવાનો વાયદો કર્યો હોવા છતાં સરકારે આ વર્ષે પણ ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધનુ નોટીફીકેશન બહાર પાડી સંતોષ માન્યો છે. જો કે, આ સમગ્ર મામલે સી.એમ.રૂપાણીએ જણાવ્યુ હતું કે , ચાઇનીઝ દોરી પ્રતિબંધિત છે અને સરકાર વ્યાપક દરોડા પાડી તેનું વેચાણ અટકાવશે. ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે સરકાર પોલીસ અને તંત્રના અધકારીઓને સૂચના આપી ભારે કડકાઇથી કાર્યવાહી હાથ ધરશે.

        રાજય સરકાર દ્વારા સતત ૪થા વર્ષે અબોલ પક્ષી અને જીવો માટે કરૂણા અભિયાનના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, અમે અધિકારીઓને સૂચના આપી છે. ચાઈનીઝ દોરીને લઈને સરકારે નોટીફીકેશન બહાર પાડી દીધુ છે અને તે દોરી પ્રતીબંધીત છે. ઉચ્ચ લેવલે સરકાર સૂચના આપશે વ્યાપક રેડ પાડીને ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગને રોકવામા વિશેષ પ્રયતન કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ખાસ કરીને આરોપીઓ પર જે કઈ કલમો લાગે તેમાં તાત્કાલીક તેઓને રાહત ન મળે અને એક મેસેજ જાય કે હવે આ લોકો માટે પણ દોરી વેચવી એ ઘાતક છે. ચાઇનીઝ દોરી પંખીઓ અને માણસો બન્ને માટે ઘાતક છે એટલે કડકમાં કડક કાર્યવાહી કરીને આને રોકવા માટેના પ્રયત્નો કરીશુ. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ આ મામલે ફક્ત ચાઇનીઝ દોરી જ નહીં પરંતુ તુક્કલ વેચવાનો પ્રતિબંઘ મૂકવાની સૂચના આપવા હૈયાધારણા આપી હતી. રાજ્ય સરકારે સતત ચોથા વર્ષે કરુણા અભિયાનની આજે શરુઆત કરી હતી,

       જેમાં ઉતરાયણમાં દોરીથી ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર કરવા માટે તેમના રેસક્યુ માટે ,સરકાર તૈયાર હોવાનુ વિજય રુપાણીએ જણાવ્યુ હતું. સીએમએ જણાવ્યુ કે, આજથી ૪ વર્ષ પહેલાં ૩૫ હજાર પક્ષીઓ મૃત્યુ પામતા હતા જેમાં હવે આ અભિયાન થકી ઘટાડો થયો છે. પક્ષીઓના જીવ બચાવવા માટે તાત્કાલિક સારવાર, ઓપરેશન અને આઈસીયુ અને જ્યાં સુધી પક્ષીઓ ઉડવા લાયક ન બને ત્યા સુધી તેની સાચવણી વિગેરેની સરકારે વ્યવસ્થા કરી છે. આ વખતે સાડા તેર હજાર સ્વયંસેવકોની કામગીરી આ અભિયાનમાં રહેશે,જેમાં આઠ હજાર રેસ્ક્યૂ કરનારા તથા અલગ અલગ જીવદયાની સંસ્થાઓમાં કામ કરનારા લોકો જોડાયા છે. કરુણા અભિયાન હેલ્પલાઈન ૧૯૬૨ પરથી લોકો ફોન કરી પક્ષીઓને મદદ પહોચાડવામા મદદરુપ થઈ શકશે.

(7:53 pm IST)