Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

અમદાવાદમાં પ્રવેશતા લોકોનાં ટેસ્ટ કરવાનું ફરી શરુ કરાશે

કોરોનાના કેસ વધવા લાગ્યા છે : ૧૦ નવેમ્બરે ગુજરાતમાં છેલ્લા ૧૨૨ દિવસના સૌથી વધુ ૪૧ કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં

અમદાવાદ, તા.૧૧દિવાળી પછી કોરોનાના કેસોમાં અચાનક વધારો નોંધાયો છે. અમદાવાદની વાત કરીએ તો, લોકો મોટી સંખ્યામાં હવે દિવાળીની રજાઓ માણીને બહારગામથી પરત ફરી રહ્યાં છે, ત્યારે કોરોના વધુ ના વકરે તે માટે તંત્ર સફાળું જાગ્યું છે.

કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ ઉપરાંત, શહેરના એન્ટ્રી પોઈન્ટ્સ પર ફરી સઘન ચેકિંગ કરવાની કામગીરી શરુ કરવાની તૈયારી કરી લીધી છે.

કાળુપુર રેલવે સ્ટેશન પર પણ આજે કેટલાક મુસાફરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમજ વેક્સિનેશન કેમ્પ પણ ઉભો કરવામાં આવ્યો હતો. શહેરમાં એએમટીએસ તેમજ બીઆરટીએસના સ્ટેન્ડ પર પણ ટેસ્ટિંગ કરવામાં આવશે તેવું કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે.

એટલું નહીં, જે લોકો હાલના દિવસોમાં કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, તેઓ કોના-કોના સંપર્કમાં આવ્યા છે તેનું પણ સઘન કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવશે, જેથી કોરોના વધુ ના વકરે. ઉપરાંત, તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચલાવાઈ રહી છે.

ખાસ કરીને જે લોકોને બીજો ડોઝ બાકી છે તેવા લોકોને ઝડપથી કવર કરી લેવા તંત્રએ કવાયત શરુ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર, હજુ ૩૨ લાખ લોકોએ સમય વિતિ ગયા બાદ પણ સેકન્ડ ડોઝ નથી લીધો.

૧૦ ઓક્ટોબરના રોજ ગુજરાતમાં નવા ૪૨ કેસ નોંધાયા હતા, જે છેલ્લા ૧૨૨ દિવસનો સૌથી ઉંચો આંકડો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં કેસ બમણા થયા છે, જ્યારે અમદાવાદમાં તો ચાર ગણા વધ્યા છે.

જુલાઈ મહિનાથી રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો ખૂબ નીચે આવવાનો શરુ થયો હતો. તેમાંય ૧૪ જુલાઈએ તો તે ૪૦ની નીચે પહોંચી ગયો હતો.

પરંતુ ૧૦ નવેમ્બરે તેણે ૪૦ની સપાટી તોડી હતી. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારોમાં બજારોમાં ભારે ભીડ ઉમટી હતી. જેમાં મોટાભાગના લોકો માસ્ક પહેરવાનું ટાળતાં હતાં, અને સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ જોવા મળતો હતો. જેને પરિણામે હવે કોરોનાના કેસમાં ધીમો વધારો દેખાઈ રહ્યો છે.

ડૉક્ટર્સનું માનીએ તો, લોકો દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં બહાર ગયા, એકબીજા સાથે હળ્યા-મળ્યા તેના કારણે કોરોનાના કેસ વધ્યા છે. જોકે, હજુ પણ કેટલાક દિવસ સાવધાની રાખવી ખૂબ જરુરી છે.

વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય તેવા લોકોએ પણ તમામ તકેદારી લેવી જોઈએ. વેક્સિન લીધા બાદ મોટાભાગના લોકોને જો કોરોના થઈ જાય તો પણ તેની અસર પ્રમાણમાં હળવી રહે છે, અને લગભગ હોસ્પિટલાઈઝ થવાની જરુર નથી પડતી.

પરંતુ કેટલાક કિસ્સામાં અને ખાસ તો જો અન્ય કોઈ રોગ પણ હોય તો દર્દીને હોસ્પિટલમાં એડમિટ થવું પણ પડી શકે છે. તેવામાં કોરોનાથી બચાવ એકમાત્ર ઉપાય છે.

(10:04 pm IST)