Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

વડોદરામાં ૧૦૦ પરિવારો ૧૧ દિનથી રસ્તાઓ પર છે

તુલસીવાડી, ગણેશનગરમાં હાલત કફોડી : ભારે વરસાદ બાદ અનેક પડકાર : ભયંકર ગંદકીને કારણે બીમારીના ખાટલા : મગરોને કારણે ઉજાગરા કરવા ફરજ

અમદાવાદ, તા.૧૧ : વડોદરા શહેરમાં તા.૩૧ જુલાઇએ વરસેલા ૨૦ ઇંચ વરસાદ બાદ પૂર આવ્યું હતું અને વડોદરા શહેરનું જનજીવન જાણે તહસનહસ કરી નાંખ્યુ હતુ પરંતુ ફરી પાછુ વડોદરા શહેર રાબેતામુજબ પૂર્વવત્ બની રહ્યું છે. વરસાદી ઝાપટાઓ અને મેઘમહેર વચ્ચે વડોદરામાં વરસાદી મોહાલ જોવા મળી રહ્યો છે પરંતુ મોટાભાગના વિસ્તારો હવે પાણી ગરકાવની સ્થિતિ બહાર છે પરંતુ બીજીબાજુ, વડોદરાના કેટલાક ગરીબ અને ઝુંપડપટ્ટી વિસ્તારો અને વસાહતો એવા પણ છે કે, જયાં હજુ પણ લોકો પાણી ઓસર્યા કે ઓછા થયા બાદ પણ હવે બિમારી, મગરો અને ગંદકીના માર વચ્ચે જીવવા મજબૂર બન્યા છે.

               ખાસ કરીને વડોદરા શહેરની તુલસીવાડી સ્થિત જયઅંબેનગર, ગણેશનગર અને ઇન્દિરાનગર ઝુપડપટ્ટીના સેંકડો પરિવારો અને રહીશો છેલ્લા ૧૧ દિવસથી રસ્તા પર જીવવા મજબૂર બન્યા છે. વડોદરામાં ગત તા.૩૧ જુલાઇએ આવેલા પૂરમાં ૨૦૦ જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતા ૧૦૦ જેટલા પરિવારોએ શુક્રવારી માર્કેટ ભરાય છે તે મુખ્ય રોડ રોડ પર તંબુ બનાવીને આશરો લેવો પડ્યો હતો. કેટલાક લોકોને સ્કૂલોમાં આશરો લેવો પડ્યો છે. પૂરના પાણી ઓસર્યા લોકો બાદ માંડ ઘરમાં ગયા હતા અને ફરીથી પૂર આવતા લોકોને રસ્તા પર જ રહેવાનો વારો આવ્યો છે. પૂરની સ્થિતિને પગલે આ વિસ્તારના દરેક ઘરમાં બાળકો બીમાર થયા છે અને ચામડીના રોગો પણ ફેલાઇ રહ્યા છે. રાત્રીના સમયે મગરો આવી જતા હોવાથી લોકોને ઉજાગરા કરવા પડે છે.

             ગણેશનગરમાં રહેતા કાશીબેને જણાવ્યું હતું કે, અમારા ઘરમાં છેલ્લા ૧૧ દિવસથી પાણી ભરાયેલુ હોવાથી અમે અમે રોડ પર આવી ગયા છીએ. અમારી તમામ ઘરવખરી પૂરમાં તણાઇ ગઇ છે. હવે અમે રસ્તા પર રહેવા માટે મજબૂર છીએ. સરકાર અમારી મદદ કરે તેવી અમારી માંગણી છે. સોનાબેન પરમારે જણાવ્યું હતું કે, અમારૂ ઘર નીચાણવાળા વિસ્તારમાં હોવાથી ડૂબી ગયું છે. અને સમગ્ર વિસ્તારમાં ખુબ જ ગંદકી છે. જેથી અહીં રહેવુ પણ મુશ્કેલ છે.

            સતત પાણીમાં રહેવાથી અમને ચામડીના રોગ થઇ રહ્યા છે. અને અમારા વિસ્તારના દરેક ઘરના બાળકો બીમાર છે. તુલસીવાડીમાં રહેતા હિતેશ રાઠોડેજણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે ૨ વાગ્યે મહાકાય મગર અમારા ઘર પાસે આવી ગયો હતો. જેથી અમે પથ્થરો મારીને મગરને ભગાડ્યો હતો. રાત્રીના સમયે મગર ગમે ત્યારે આવી ચડે છે. જેથીઅમારે ૧૧ દિવસથી રોજ ઉજાગરા કરવા પડે છે. હવે તો જલ્દી પાણી ઉતરે તેવી આશા રાખીએ છીએ. આમ, વડોદરા મનપા તંત્ર સબ સલામતના દાવા ભલે કરે પણ હજુ વડોદરાના અમુક વિસ્તારો એવા છે કે જયાં તંત્રની કામગીરી ઉદાસીન અને ઉપેક્ષિત છે.

(7:52 pm IST)